નર્મદા જિલ્લામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર સુધી જન- સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે
સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા અભિયાન અને સેવાસેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કાની સાથે-સાથે “એક પેડ મા કે નામ” હાથ ધરાશે
જિલ્લા કલેકટર એસ. કે. મોદી દ્વારા ત્રણે કાર્યક્રમોની જિલ્લામાં હાથ ધરાનાર કાર્યક્રમ રૂપરેખા પત્રકાર પરિષદ યોજીને માહિતી અપાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ૧૭ મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીના જન્મદિને વિવિધ જનસુખાકારીના કાર્યોનો પ્રારંભ થશે. નર્મદા જિલ્લામાં પણ તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામા આવનાર છે જેના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લા કલેકટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં એક ખાસ પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને તેમાં જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને સિડ્યુલ પ્રમાણેની માહિતી આપવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર એસ.કે. મોદીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારના આઈકોનિક જગ્યાઓની સાફસફાઈ આવરી લેવામાં આવશે જેમાં જનભાગીદારી થકી સ્વચ્છ અને સુઘડ શહેર-ગામ બનાવવામાં આવશે. અને સાથેસાથે ૧૦ માં તબક્કાના ‘સેવાસેતુ’ કાર્યક્રમ થકી જિલ્લાના પાંચ તાલુકામાં સરકારની મહેસૂલ, આરોગ્ય, વાહનવ્યવહાર સહિતના વિવિધ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ નજીકના સેવાસેતુ સ્થળે જ નાગરિકોને કર્મયોગીઓ દ્વારા આપવામાં આવશે.
જ્યારે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ૧૭ મી સપ્ટેમ્બરના રોજ પ્લાન્ટેશન ડ્રાઈવ નીચેના વિવિધ સ્થળોએ નર્મદા જિલ્લાના વન વિભાગ દ્વારા જિલ્લામાં તરોપા હાઇસ્કૂલ નાંદોદ, ગોરા એક લવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ કેવડિયા ગરૂડેશ્વર, કુંડીઆંબા હનુમાન મંદીર, કુડીઆંબા દેડિયાપાડા, હનુમાન ટેકરી, સાગબારા, સોરાપાડા, ફુલસર, સગાઈ, પીપલોદ અને તિલકવાડા ખાતે આ અભિયાન ચલાવવા આવશે. સાથેસાથે આંગણવાડી કેન્દ્ર, શાળા-કોલેજના કેમ્પસમાં, જ્યાં પડતર જગ્યા હશે ત્યાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૪૦ કરોડ વૃક્ષ વાવવા માટે સૌને આહ્વાન કરી રહ્યા છે. ત્યારે આપણે પણ તેમાં સ્વૈચ્છાએ સહભાગી બનીએ. આ ત્રણે અભિયાનમાં સમગ્ર નાગરિકોનો પણ મહત્વનો ફાળો મળી રહે એવી ખાસ અપીલ કરી હતી.