વલસાડના અબ્રામાની બીએપીએસ સ્કૂલમાં શિક્ષણ સહાયકોને ભલામણ અને નિમણૂંક વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર – વલસાડ
જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે અને ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત બનશે
સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પંસદગી સમિતિ- ૨૦૨૪ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૦૦ શિક્ષણ સહાયકોને ભલામણ અને નિમણૂંક વિતરણ કાર્યક્રમ વલસાડના અબ્રામા ખાતે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
વલસાડ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં નવી ઊર્જા સંચાર કરવા અને ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ઉચ્ચત્તર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી વર્ષ ૨૦૨૪ અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંકના હુકમ અને ભલામણ પત્રના વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદ પટેલે નવી જવાબદારી સંભાળનાર શિક્ષણ સહાયકોને શુભકામનાઓ પાઠવીને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે થયેલી આ ભરતી સાથે ઘણી ખાલી જગ્યાઓ ભરાઈ જવાથી વિધાર્થીઓના ભવિષ્યમાં સુધારો થશે. શિક્ષણ સહાયકોને આ તકનો પૂરો ઉપયોગ કરી સંપૂર્ણ ઈમાનદારી, નિષ્ઠા અને સેવાભાવથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડવાની ફરજનું પાલન કરવાની અપીલ કરી વધુમાં જણાવ્યું કે, શિક્ષકનું સ્થાન સમાજમાં ખૂબ મહત્વનું છે. વિદ્યાર્થીઓના જીવન ઘડવામાં અને ગામ, તાલુકા, જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા વધારવામાં શિક્ષકોની ભૂમિકા મુખ્ય છે.
કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પ્રણાલીઓથી માહિતગાર કરવા માટે જિલ્લા અને રાજ્ય સ્તરે સતત શિક્ષણ આધારભૂત કામગીરી ચાલી રહી છે. વિદ્યા, સંસ્કાર અને ભાષાની ગૌરવમય પરંપરાને ટકાવી રાખવામાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે.
જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી એલ. ટંડેલે રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રે નવી નિમણૂકો દ્વારા શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા ફરી સાબિત થઈ છે અને વલસાડ જિલ્લાની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા અને કાર્યક્ષમતા વધશે એવી આશા વ્યક્ત કરી હતી. નવી નિમણૂંક પામેલા શિક્ષણ સહાયકો તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ નિરિક્ષકશ્રી ડો. બિપિનભાઇ પટેલ, શ્રી ગુલાબભાઇ લુહાર, જિલ્લાની સરકારી શાળાના વર્ગ-૨ના આચાર્ય અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ-મંત્રી, આચાર્યશ્રી તેમજ તમામ સંઘના આગેવાનો હાજર રહ્યાં હતાં.