મોરવા હડફના સુલીયાત ખાતે આત્મા પ્રોજેકટ અંતર્ગત કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત, મહત્વ અને પાંચ મહત્વપૂર્ણ આયામો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકામાં આવેલ સુલીયાત ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવિન મહેતાના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત એક કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલ આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસારને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત, તેનું મહત્વ અને તેના પાંચ આયામો/સિદ્ધાંતો જેવા કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા, અને મિશ્ર જૈવ પાક પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ દ્વારા ખેડૂતોની આવકમાં કેવી રીતે વધારો કરી શકાય તે વિશે પણ સમજણ આપવામાં આવી હતી. તેમજ ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન છાયાબેન ડિંડોર અને અંજનાબેન બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નિવૃત્ત વૈજ્ઞાનિક કનુભાઈ પટેલ, બાગાયત અધિકારી કલ્પેશભાઈ પટેલ, કોમ્યુનિટી રિસોર્સ પર્સન કાળુભાઈ, અને આત્માના આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર અરજણભાઇ પટેલીયા જેવા નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.







