નર્મદા: એકતાનગર ખાતે “પ્રકૃતિના શરણે” પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રગતિશિલ ખેડૂતમિત્રોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ એકતાનગર ખાતે આવેલા એકતા ઓડિટોરિયમ હોલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં “પ્રકૃતિના શરણે” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા પ્રગતિશીલ ખેડૂતમિત્રો દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રદર્શન સ્ટોલ ઉભા કરાયા હતા. આ સ્ટોલમાં શાકભાજી, ધાન્ય પાક, કઠોળ, મિલેટ્સ ઉપરાંત ગાયના ગોબરથી બનાવેલી ગણપતિ મૂર્તિઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
“પ્રકૃતિના શરણે” પરિસંવાદ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીએ પ્રગતિશિલ ખેડૂતમિત્ર નરપતભાઈ વસાવા, રાજેશભાઇ તડવી, શંકરભાઈ તડવી, ગોપાલભાઈ બારીયા અને હિતેશભાઈ વલવીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં.
દેડિયાપાડા તાલુકાના બેબાર ગામના ખેડૂતમિત્ર નરપતભાઈ વસાવાએ જણાવ્યું કે તેઓ વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા છે. તેમની ખેતી કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરીને તેઓ જમીનની ગુણવત્તા તેમજ પાકોની પોષકતા બંનેમાં મોટો સુધારો અનુભવી રહ્યા છે. તેમણે ડાંગર, તુવેર તેમજ વિવિધ પ્રકારના કઠોળની ખેતી કરતાં પોતાની જમીનને ફળદ્રુપ બનાવવાનું કાર્ય કર્યું છે. તેઓ જણાવ્યુ કે, પ્રાકૃતિક ખેતીથી જંગલનું પણ જતન શક્ય છે. રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી તેઓ હજુ વધુ આત્મવિશ્વાસથી સ્થાનિક લોકોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરીશુ તેમ જણાવ્યું હતું.