દૂધધારા ડેરી ચૂંટણી માટે મતદાન: ભરૂચમાં 14 બેઠકો પર 296 મતદારો મતદાન કરશે, કાંટે કી ટક્કર
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી દૂધધારા ડેરીની ચૂંટણી આજે શુક્રવારે સવારે 9 વાગ્યેથી શરૂ થઈ ગઈ છે. 900 કરોડના ટર્નઓવર ધરાવતી આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં વાગરાના ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઊભી કરી, સીધી ટક્કર આપી છે. ચૂંટણીમાં કુલ 15 બેઠકો માટે જાહેરાત થઈ હતી, જેમાંથી એક બેઠક પર અરૂણસિંહ પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. આજે બાકીની 14 બેઠકો માટે કુલ 296 મતદારો મતદાન કરી રહ્યા છે. ચૂંટણી માટે ભરૂચ આયોજન ભવન ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. બંને પક્ષના ભાજપના આગેવાનોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર થશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે કોણે બાજી મારી છે.
અપક્ષ ઉમેદવાર મહેશ વસાવા અને જીગ્નેશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત
ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે અપક્ષ ઉમેદવારો મહેશ વસાવા અને જીગ્નેશ પટેલે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે દાવો કર્યો કે, તેમની પેનલમાંથી ઓછામાં ઓછા ચાર ઉમેદવારો ચોક્કસપણે વિજયી બનશે. વસાવાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જો તેમની પેનલ જીતશે, તો તેઓ ઘનશ્યામ પટેલની પેનલને ખુલ્લો ટેકો જાહેર કરશે. બીજી તરફ, અરુણસિંહની પેનલના જિગ્નેશ પટેલે પણ પોતાની પેનલ વિજયી બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ભરૂચ ડેરીની આ ચૂંટણીમાં રાજકીય સરગર્મી વધુ તીવ્ર બની છે.