ગોધરા એસટી ડેપો ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ રેલી અને સફાઈ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા: ગોધરા એસટી વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે ગોધરા એસટી ડેપો ખાતે સ્વચ્છતા રેલી અને સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે એસટી ડેપોમાં રેલી યોજી મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. આ પ્રસંગે વિભાગીય નિયામકશ્રી મહેન્દ્ર કે. ડામોરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “એસટી બસ સ્ટેન્ડ આપણા સૌનું છે અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણા સૌની છે. કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ જેથી સૌનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.” તેમણે વિદ્યાર્થીઓને નિગમની વિવિધ સુવિધાઓ વિશે પણ માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ગોધરા એસટી ડેપોના ડેપો મેનેજર શ્રી એમ. એમ. સોલંકી, એટીએસ બી. બી. રાવલ, કોમર્સ કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી, એનએસએસના લીડર ભવ્ય દેવડા અને હર્ષિતા ચતવાણી સહિત 50 જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમથી બસ સ્ટેન્ડની સ્વચ્છતા જાળવવા માટે જાગૃતિ ફેલાઈ હતી.