VALSAD: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપી શહેરમાં રૂ.૧૫.૮૦ કરોડના રોડ સ્ટ્રેન્થનિંગ અને રિસરફેસિંગના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાપી મહાનગરપાલિકા બન્યા બાદ વાપીના વિકાસ માટે અનેક કાર્યો થઈ રહ્યા છે – મંત્રીશ્રી
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાપી મહાનગરપાલિકા વિસ્તારના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રસ્તાઓના રૂ. ૧૫.૮૦ કરોડના સ્ટ્રેન્થનિંગ, રિસરફેસિંગ અને રોડ વાઇડનિંગના કાર્યોનું ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું હતું. વાપી કોપરલી-અંભેટી-સુખલા રોડનું રૂ. ૧૦.૬૯ કરોડના ખર્ચે સ્ટ્રેન્થનિંગ અને રિસફેસિંગ અને વાપીના ગોવિંદા કોમ્પ્લેક્સ થી વલસાડ રોડ ઓલ્ડ જકાતનાકા સુધી નેશનલ હાઇવેના સર્વિસ રોડનું રૂ. ૫.૧૧ કરોડના કામ કરવામાં આવશે.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જીઆઇડીસી વિસ્તાર અને વાપી વિસ્તારમાં મહાનગરપાલિકા બન્યા પછી ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં હજુ વધુ વિકાસ કાર્યો પણ થવા જઈ રહ્યા છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રોડ વાઇડનિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આરસીસી રસ્તાઓ બનવાથી રસ્તાઓ ખરાબ થવાની સમસ્યાનો હંમેશા માટે ઉકેલ આવશે.કાર્યક્રમમાં વિકાસકાર્યોની રૂપરેખા આપતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર જતીનભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.કાર્યક્રમમાં વીઆઇએ પ્રમુખ સતિષભાઇ પટેલ. સંગઠન મહામંત્રીઓ, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.