DANGGUJARATWAGHAI

ડાંગનાં ગીરા દાબદર ગામે વહીવટી તંત્રની સંવેદનહીનતા ખુલ્લી પડી હોય તેમ સ્મશાન માર્ગની દુર્દશા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં થોડા સમય અગાઉ ‘આભ ફાટવા’ સમાન જે પ્રલયકારી વરસાદ ખાબક્યો હતો, તેણે સમગ્ર જનજીવનને ખોરવી નાખ્યુ હતુ.અનેક ગામોમાં વ્યાપક વિનાશ થયો હતો અને પૂરના આક્રમક પ્રવાહમાં મુખ્ય માર્ગો, પુલો અને કોઝવે સંપૂર્ણપણે ધોવાઈ ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા તંત્રને યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા અને કામગીરી શરૂ પણ થઈ હતી, પરંતુ ખાપરી નદીના કાંઠે વસેલા ગીરા દાબદર ગામનો સ્મશાન ભૂમિ જવાનો અતિ મહત્ત્વનો માર્ગ આજે પણ તંત્રની ઘોર બેદરકારીનું જીવંત ઉદાહરણ બનીને ઊભો છે.આ માર્ગના સમારકામમાં બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા, ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે.પૂરના પ્રચંડ પ્રવાહમાં સ્મશાન સુધી પહોંચતો આ માર્ગ મોટા ભાગે ધોવાઈ ગયો છે, જેના કારણે ઊંડા ખાડાઓ અને કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. માનવજીવનના અંતિમ પડાવ સમાન સ્મશાન સુધી મૃતદેહને લઈ જવો એ ગીરા દાબદર ગામના લોકો માટે અંતિમ યાતના સમાન બની ગયો છે. શોકગ્રસ્ત પરિવારજનોએ પોતાના વહાલા સ્વજનના મૃતદેહને (નનામી)ખભે મૂકીને આ દુર્ગમ અને જોખમી માર્ગ પરથી પસાર થવું પડે છે. ઘણીવાર ભારે વરસાદ કે અંધારામાં મૃતદેહને લઈ જતી વખતે લપસવાનો કે પડી જવાનો ભય પણ રહે છે.અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ સમયે પણ તંત્રની આ અમાનવીય બેદરકારી ગ્રામજનોને આઘાત આપી રહી છે.આ ગામના લોકોએ અને અસરગ્રસ્ત પરિવારોએ જ્યારે ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરડાનાં સરપંચ વાંસતીબેન રાજેશભાઈ ચૌધરી સમક્ષ આ બાબત ઉઠાવી, ત્યારે સરપંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ માર્ગ વન વિભાગની હદમાં આવે છે,અને તેથી ગ્રુપ ગ્રામ પંચાયત તેના પર કોઈ કામ કરી શકે તેમ નથી.બીજી તરફ, જ્યારે ગામના લોકોએ વન વિભાગનાં કાર્યાલયનો સંપર્ક કર્યો અને પોતાની કરુણતા રજૂ કરી, ત્યારે વન વિભાગના અધિકારીઓએ આ માર્ગને ગ્રામ પંચાયતની હદનો કહીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો.અહીં તંત્રના બે મહત્ત્વના વિભાગો – ગ્રામ પંચાયત અને વન વિભાગ – એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.આ ‘ખો’ની નીતિને કારણે સ્મશાન માર્ગનું સમારકામ અટકી ગયુ છે.આ બંને વિભાગો પોતપોતાની ફાઇલ અને નિયમોના ચક્રમાં અટવાયેલા છે, જ્યારે સામાન્ય નાગરિકો જીવલેણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. શું સરકારી વિભાગો માટે અંતિમ સંસ્કાર માટેનો માર્ગ પણ નિયમો અને હદની મર્યાદાઓમાં અટવાઈ શકે ?આવા અનેક સવાલ ઉદભવી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓએ આ મામલે વ્યક્તિગત રસ લઈ, આ અંતર્ગત આવતી તમામ આંતરિક અવરોધો દૂર કરી, તાત્કાલિક ધોરણે સ્મશાનના માર્ગનું સમારકામ કરાવીને ગ્રામજનોને રાહત આપવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે..

Back to top button
error: Content is protected !!