
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૧ જાન્યુઆરી : માંડવીના આસંબિયા મોટામાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝ ખાતે કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ધાન-ધાન્ય કૃષિ યોજના (PMDDKY) અંતર્ગત NMEO (National Mission on Edible Oils – Oilseeds) યોજના હેઠળ ખેડૂતો માટે તેલિબિયા વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત ગ્રામસેવકશ્રી દ્વારા કરવામાં આવી હતી. તાલીમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત શ્રી દેવશીભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો, જીવામૃત, ધનજીવામૃત તેમજ જમીન સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુંદ્રાના કૃષિ વૈજ્ઞાનિકશ્રી દ્વારા તેલિબિયા પાકોની આધુનિક જાતો, સુધારેલી ખેતી પદ્ધતિઓ અને જીવાત-રોગ નિયંત્રણ અંગે માહિતી આપવામાં આવી હતી. કૃષિ વિભાગના મદદનીશ ખેતી નિયામકશ્રી દ્વારા સંગઠન આધારિત ખેતી, બીજ-ખાતર કાયદા, પ્રોસેસિંગ તથા માર્કેટિંગ અંગે ખેડૂતોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
PMDDKY યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવો, તેલિબિયા પાકનું ઉત્પાદન વધારવું, મૂલ્યવર્ધન અને બજાર જોડાણ દ્વારા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી તાલીમનો લાભ લીધો હતો.




