
નર્મદા : ત્રીજા યુથ ઇમર્શન કાર્યક્રમ અંતર્ગત આસામ રાજ્યથી આવેલા યુવા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રીજા યુથ ઇમર્શન કાર્યક્રમ અંતર્ગત આસામ રાજ્યથી આવેલા યુવા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આ ઇમર્શન પ્રોગ્રામમાં નેપોલિયન, આસામ વિધાનસભાના સ્પીકરના સલાહકાર, રિનેલિન એસ. મોમિન, અન્ડર સેક્રેટરી આસામ વિધાનસભા તથા કુલ ૩૨ યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પ્રતિનિધિમંડળમાં બોડોલેન્ડ યુનિવર્સિટી, ગુહાટી યુનિવર્સિટી સહિતના કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લીધી હતી.
યુવા પ્રતિનિધિઓએ એકતા નગર ખાતે આવેલ મુખ્ય આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને ભારતીય એકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનો જીવંત અનુભવ કર્યો હતો.
ખાસ નોંધપાત્ર વાત એ રહી કે જંગલ સફારી દરમિયાન આસામના નેટિવ એવા રાયનોને નજીકથી જોઈ યુવાનો અત્યંત આનંદિત થયા હતા. રાયનોને તેમના નામથી બોલાવતા જ તેઓ પ્રતિભાવ આપતા જોવા મળ્યા, જે દ્રશ્ય સૌ માટે આનંદદાયક બન્યું હતું. આ ઉપરાંત ઇન્ડિયન બાયસન સેક્શનમાં મુખ્ય બાયસન કૃષ્ણાને બોલાવતા તે નજીક આવીને પોઝ આપતા જોવા મળ્યો, જેને જોઈ પ્રતિનિધિઓ ખૂબ પ્રભાવિત થયા.
અનફોરી ઓવારીએ જણાવ્યુ કે, હુ ત્રીજા યુથ ઇમર્શન કાર્યક્રમ અંતર્ગત અહીં મુલાકાતે આવ્યો છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી જોઈને ખૂબ આનંદ થયો. સરદાર સાહેબના ચરણો સ્પર્શ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવાનો અવસર મળ્યો. અહીં આવીને દેશની એકતા અખંડિતાનાં દર્શન કરાવ્યા હતાં.
બર્ડ એવિયરીમાં વિવિધ પક્ષીઓ તથા કાર્નિવોરસ ઝોનમાં સિંહ, વાઘ, લેપર્ડ, જગુઆર, બ્લેક પેન્થર અને વ્હાઈટ લાયન જેવા પ્રાણીઓ સક્રિય અવસ્થામાં કાચની નજીક ફરતા જોવા મળ્યા, જેનાથી યુવા પ્રતિનિધિઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટર સુશ્રી વિધુ ખૈતાન દ્વારા પ્રતિનિધિમંડળને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી અને આ મુલાકાત સરળ રીતે સમજવા માટે માર્ગદર્શક તરીકે શ્રી હાર્દિક જાની અને ડૉ.પી.આર.પટેલ જોઈન્ટ સી.ઈ.ઓ,કેસીજી,અમદાવાદ, ડૉ.રોનક પટેલ અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ગરૂડેશ્વરનાં ઇન્ચાર્જ આચાર્ય ડૉ પદમાબેન આર. તડવી વિધાર્થીઓ સાથે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડયું હતું.




