આણંદ શહેરના 100 ફૂટ રોડ પરથી મૃત નવજાત શિશુ મળી આવ્યું

આણંદ શહેરના 100 ફૂટ રોડ પરથી મૃત નવજાત શિશુ મળી આવ્યું
તાહિર મેમણ – આણંદ – 04/02/2026 – આણંદ શહેરના 100 ફૂટ રોડ પરથી મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. કોઈ અજાણી સ્ત્રી-અજાણ્યા પુરૂષ દ્વારા તેને ફેંકવામાં આવ્યું હોવાની શંકા વચ્ચે આણંદ શહેર પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, નવજાત શિશુને કૂતરાંઓ મોંઢામાં લઈ ભાગતા હતા.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરના 100 ફૂટ રોડ સ્થિત રોયલ પ્લાઝાની પાછળ 35 વર્ષીય જુનેદભાઈ ઉસ્માનભાઈ વ્હોરા રહે છે. મંગળવારે સવારે તેઓ પોણા અગિયાર વાગ્યાની આસપાસ બાઈક લઈને કામ અર્થે નીકળ્યા હતા. દરમિયાન સો ફૂટ રોડ પર આવેલા જીઓ પેટ્રોલપંપની સામે રોડની પાસે એક મૃત હાલતમાં નવજાત ભ્રુણ મળી આવ્યું હતું. જેના શરીરના કેટલાંક ભાગને કૂતરાંઓ મોંઢામાં નાંખીને ભાગતા હતા. નોંધનીય છે કે, શિશુના શરીર પર કીડીઓ પણ ચઢી ગઈ હતી. જે જોઈને હાજર લોકોમાં પણ કંપારી છૂટી ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો પણ એકઠાં થયા હતા. આ મામલે તેમણે તુરંત જ આણંદ શહેર પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસની ટીમે મૃત શિશુનો કબજો લઈ આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




