આણંદ પેટલાદ – જોધપુર રૂટની નવીન બસ સુવિધાનું લોકાર્પણ કરાયું

આણંદ પેટલાદ – જોધપુર રૂટની નવીન બસ સુવિધાનું લોકાર્પણ કરાયું*
તાહિર મેમણ – આણંદ – 23/02/2026 – આણંદ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ગ્રામીણ અને શહેરી જોડાણ સુધારવા માટે એક પુનરાવર્તિત પહેલના ભાગરૂપે આણંદ જિલ્લામાં પેટલાદ ખાતેથી રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે એક નવીન બસને લીલી ઝંડી આપીને જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવી છે.
આ બસના શુભારંભના કારણે ગુજરાતના પેટલાદ અને રાજસ્થાનના જોધપુર વચ્ચેના વિસ્તારોના નાગરિકોને સુવિધાયુક્ત અને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. આ તકે મંત્રીશ્રીએ આ નવીન બસ સુવિધાનો મહત્તમ લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
આ નવીન રૂટ ઉપર પેટલાદથી સવારે ૧૦-૩૦ કલાકે બસ ઉપડશે અને જોધપુર ખાતે રાત્રે ૦૧-૧૦ કલાકે પહોંચશે. તેવી જ રીતે જોધપુરથી સવારે ૧૦-૪૫ કલાકે બસ નીકળશે અને પેટલાદ ખાતે રાત્રે ૦૧-૧૦ કલાકે આવશે.
નોંધનીય છે કે આ નવીન બસ સેવા શરૂ થવાથી પેટલાદ અને જોધપુર વચ્ચેના રૂટ પરના મુસાફરોને રાહત મળશે. આ સેવાથી લોકોને સમય અને ખર્ચની બચત થશે, અને તેમની યાત્રા વધુ આરામદાયક બનશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ બસ સેવા શરૂ કરવામાં આવી છે.





