
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં – આગની ઘટનાઓ યથાવત, વધુ ત્રણ ખેતરમાં ઘઉંનો પાક બળીને ખાખ, રેલ્લાવાડા તેમજ ટીંટોઈ પંથકમાં ઘઉંના ખેતરમાં આગ લાગી
અરવલ્લી જિલ્લામાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં મેઘરજ તાલુકા સહિતના વિસ્તારોમાં વધુ બે સ્થળોએ આગ લાગવાના બનાવો સામે આવ્યા છે, જેમાં ચાર ખેડૂતોને નુકસાન થયું છે.મેઘરજના રેલ્લાવાડા ગામે ઘઉંના ખેતરમાં આગ લાગતા અંદાજે 4 મણ જેટલો ઉભો પાક બળી ગયો હતો. આ ઘટનામાં ખેડૂત પટેલ પ્રવિણભાઈને આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ ટીંટોઈ પંથકમાં લણણી કરીને ખેતરમાં રાખવામાં આવેલ અંદાજે 12 મણ ઘઉંનો પાક આગની ઝપેટમાં આવી નષ્ટ થયો હતો. આ આગમાં ચૌહાણ જગતસિંહ અને પ્રજાપતિ ગીરધરભાઈ નામના બે ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતર નજીક પસાર થતી વીજ લાઈનોમાંથી તણખલા પડતા આગ લાગી હતી. વીજતંત્રની બેદરકારીના કારણે આવી ઘટના બની હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં આવી આગની ઘટનાઓ સામે આવતા ખેડૂતોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તંત્ર પાસે યોગ્ય તપાસ કરી નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે.






