
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબિર ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૮ (નિશાળ ફળિયા) ખાતે રહેતા જમણીબેન માલુભાઈ ચૌધરીનાં મકાનમાં આજે અચાનક ભયાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહી ભયાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આદિવાસી પરિવારની ઘરવખરી સહિત આખુ મકાન બળીને ખાખ થઈ ગયુ હતુ.આ ઘટનાને કારણે આદિવાસી પરિવારને ભારે નુકસાન વેઠવું પડ્યુ છે.અને માથે આભ તૂટી પડ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આ
ઘટનાની જાણ થતા જ ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ નિલેશભાઈ એસ.ઝાંબરે સહીત સુબિર ગામનાં સરપંચ સોમનાથભાઈ કાગડે તથા અન્ય સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.અને આગેવાનોએ અસરગ્રસ્ત પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરી દુઃખ વ્યક્ત કર્યું અને આ કપરી પરિસ્થિતિમાં સહાય માટે ભરોસો આપ્યો હતો.અહી સુબિર ગામનાં સરપંચ સોમનાથભાઈ કાગડેએ તાલુકા વિકાસ અધિકારી સુબિરને જાણ કરી નુકસાનનું પંચનામું કરવાની પ્રક્રિયા શરૂ કરાવી છે.સાથે જ નિલેશભાઈ ઝાંબરેએ રાજ્ય સરકાર પાસે અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક રોકડ સહાય તથા મકાન સહાય પૂરી પાડવાની માંગ ઉઠાવી છે.આ મુશ્કેલ સમયમાં સમગ્ર સંગઠન અને ગ્રામ પંચાયત પીડિત પરિવારની સાથે ઉભા છે, તેવી ખાતરી આગેવાનો દ્વારા આપવામાં આવી હતી..





