ભરૂચ શહેર કોંગ્રેસમાં બગાવત…?


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટી દ્વારા ઉમેદવારી જાહેર થતા જ ટીકીટથી વંચિત રહેલા વિરોધ પક્ષના પૂર્વ નેતા સમસાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા રાજકીય માહોલ ગરમાયો છે.
મળતી માહિતી મુજબ, બંને નેતાઓએ સવારે મીડિયા સમક્ષ કોંગ્રેસ સાથે જ રહેવાનું અને પાર્ટી પ્રત્યે વફાદાર રહેવાનું નિવેદન આપ્યું હતું. જોકે, બાદમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
કોંગ્રેસ દ્વારા આ બેઠક માટે કુતુબુદ્દીન ઉર્ફે કરન પટેલને સત્તાવાર ટીકીટ આપવામાં આવી છે,જેના કારણે અસંતુષ્ટ દાવેદારોમાં નારાજગી ફાટી નીકળી હોવાનું માનવામાં આવે છે.અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ સમસાદ સૈયદે પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનું દાવો કર્યો હતો, જે નિવેદન વધુ ગૂંચવણ ઉભી કરે છે.
વિશેષ નોંધનીય છે કે,ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સમસાદ સૈયદ મીડિયા સાથે વાતચીત દરમિયાન સવાલોથી બચતા નજરે પડ્યા હતા, ફોર્મ ભર્યું હોવા છતાં તેઓ કોંગ્રેસના કાર્યકર અને સભ્ય હોવાનું પણ રટણ કરી રહ્યા હતા જેનાથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.




