
વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા જ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી લાઇબ્રેરી સહિત વિવિધ લાઇબ્રેરીઓની મુલાકાત લઈ પુસ્તકપ્રેમીઓને વાંચનની પ્રેરણા આપવામાં આવી હતી. વિશ્વ પુસ્તક દિવસ દર વર્ષે 23 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત UNESCO દ્વારા કરવામાં આવી હતી, જેના મુખ્ય હેતુ લોકોમાં વાંચનની ટેવ વિકસાવવી, પુસ્તકોનું મહત્વ સમજાવવું અને લેખકો પ્રત્યે આદર વ્યક્ત કરવો છે. વિશ્વભરમાં આ દિવસે વિવિધ સાહિત્યિક કાર્યક્રમો, પુસ્તક પ્રદર્શન અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન નિવૃત આચાર્ય રમાબેન દેવાણી દ્વારા ભારત વિકાસ પરિષદને અલભ્ય અને મૂલ્યવાન પુસ્તકો ગિફ્ટ કરવામાં આવ્યા હતા, જે લાઇબ્રેરી માટે મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવી રહ્યું છે. આ અવસરે ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડો સ્નેહલ તન્ના, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા તથા પ્રસિદ્ધ ઉદ્ભોષક ભૂપેન્દ્ર જોશી તેમજ દિનેશ કાનાબાર ઉપસ્થિત રહી વિવિધ લાઇબ્રેરીઓની મુલાકાત લીધી અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે આગેવાનો દ્વારા પુસ્તકોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વાંચન માનવીના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે અને આવા દિવસો સમાજમાં જ્ઞાન પ્રત્યેની લગાવ વધારવામાં મદદરૂપ થાય છે. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ સમાજમાં વાંચન સંસ્કૃતિ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





