IDARSABARKANTHA

સાબરકાંઠામાં પશુપાલકો માટે ‘૧૯૬૨’ અને હરતા-ફરતા પશુ દવાખાના બન્યા સંજીવની: એક જ વર્ષમાં ૯૫,૮૦૦થી વધુ પશુઓને નવજીવન

સાબરકાંઠામાં પશુપાલકો માટે ‘૧૯૬૨’ અને હરતા-ફરતા પશુ દવાખાના બન્યા સંજીવની: એક જ વર્ષમાં ૯૫,૮૦૦થી વધુ પશુઓને નવજીવન
**
પશુપાલન ક્ષેત્રે રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ સાબરકાંઠા જિલ્લામાં પશુધન માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં (એપ્રિલ-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬) જિલ્લામાં પશુ આરોગ્ય સેવાની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે કુલ ૯૫,૮૫૧ પશુઓને ઘરઆંગણે ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવી છે. જેમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨’ દ્વારા ૪,૮૬૦ ગંભીર કિસ્સાઓમાં તાત્કાલિક પ્રતિસાદ આપી પશુઓના જીવ બચાવવામાં આવ્યા છે, જ્યારે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત ૧૬ હરતા-ફરતા પશુ દવાખાનાઓ (૧૦ ગામ દીઠ યોજના) દ્વારા ૯૦,૯૯૧ પશુઓની સ્થળ પર જ સારવાર કરી પશુપાલકોની ચિંતા દૂર કરવામાં આવી છે.

જ્યારે પશુ બીમાર હોય કે અકસ્માત થાય, ત્યારે સમયસર મળેલી ડોક્ટરની મદદ પશુપાલકો માટે મોટી રાહત બની જાય છે. સાબરકાંઠામાં આ સરકારી સેવાઓએ પશુપાલકોનો વિશ્વાસ જીતી લીધો છે. ગામડાંના લોકોની કમાણીનો મુખ્ય આધાર પશુપાલન છે, અને હવે ઘરઆંગણે જ આવી સારી સારવાર મળતી હોવાથી પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડતું નથી. સાબરકાંઠા જિલ્લો પશુઓની સંભાળ રાખવામાં આગળ વધી રહ્યો છે અને આ સુવિધા પશુપાલકો માટે પશુઓની મુશ્કેલીના સમયની સાથી બની છે.”

જેવી રીતે મનુષ્યો માટે આકસ્મિક સમયે ‘૧૦૮’ ની સેવા જીવનદાયી સાબિત થાય છે, બિલકુલ તેવી જ રીતે અબોલ પશુઓ માટે ‘૧૯૬૨’ કરુણા એમ્બ્યુલન્સ સેવા સંકટ સમયની સાથી છે. આ સેવા સંપૂર્ણપણે પશુપાલકોના ઘરઆંગણે કાર્યરત છે; જેમાં પશુને કોઈ ગંભીર બીમારી કે અકસ્માત થાય ત્યારે માત્ર ૧૯૬૨ નંબર પર કોલ કરવાથી નિષ્ણાત ડોક્ટરોની ટીમ તમામ જરૂરી દવાઓ અને સાધનો સાથે એમ્બ્યુલન્સ લઈને સ્થળ પર પહોંચી જાય છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સેવાને કારણે પશુને દવાખાને લઈ જવાની મુશ્કેલી દૂર થઈ છે અને સમયસર મળતી તબીબી સહાયને કારણે અબોલ જીવોને નવજીવન મળી રહ્યું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!