
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવ (IPS) ના માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે “ઓપરેશન મિલાપ” કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારની એક સગીર વયની દીકરી તા. ૦૪/૦૫/૨૦૨૬ ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ.જે.જી. અનડકટ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન હકીકત મળી હતી કે આ સગીરા આહવા બસ સ્ટેશન પાસે છે.પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેને ત્યાંથી શોધી કાઢી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે દીકરી ઘરકામ શીખવા બાબતે ચિંતામાં હોવાથી ઘરેથી નીકળી ગઈ હતી.ત્યારબાદ મહિલા પોલીસ દ્વારા તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેના માતા-પિતાનો સંપર્ક કરી દીકરીનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવવામાં આવ્યું હતુ.





