નવસારી જિલ્લાના ગણદેવીના ઇચ્છાપોર ગામે કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં ગ્રામ લોકસંવાદ સભા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઇચ્છાપોર ગામે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં ગ્રામ લોકસંવાદ સભા યોજાઈ હતી. ગ્રામજનોએ રસ્તા, પાણી પુરવઠા, સ્વચ્છતા તથા સરકારી યોજનાઓના લાભ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા.
કલેક્ટરશ્રીએ ગ્રામજનોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા અને ઝડપી નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી. તેમણે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક યોગ્ય લાભાર્થી સુધી પહોંચે તે માટે મિશન મોડ પર કામગીરી કરવા ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગામમાં કુપોષણ નિવારણ, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામસંવાદ પહેલાં કલેક્ટરશ્રીએ ગામની આંગણવાડી અને શાળાની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી રોશની પટેલ, તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઈ, મામલતદાર તથા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ગામના સરપંચ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




