ફાયર ટીમના કુશળ તરવૈયાઓ દ્વારા મહીસાગર નદીમાં ડૂબતા ત્રણ ઈસમોને હેમખેમ બચાવાયા મોકડ્રિલ યોજાય

ફાયર ટીમના કુશળ તરવૈયાઓ દ્વારા મહીસાગર નદીમાં ડૂબતા ત્રણ ઈસમોને હેમખેમ બચાવાયા મોકડ્રિલ યોજાય

તાહિર મેમણ – આણંદ – 22/05/2026 – આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને તેમજ કોઈપણ આકસ્મિક પૂર જેવી આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધીને ઓછામાં ઓછા સમયમાં કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તેનું પરીક્ષણ કરવાના હેતુથી આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે તા.૨૨/૦૫/૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારના ૦૮-૫૦ કલાકે વહેરાખાડી ખાતે પૂર બચાવની એક મોકડ્રિલ યોજાઈ હતી.
આ અંગે વિસ્તૃત વિગતો જોઇએ તો આણંદના વહેરાખાડી પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ત્રણ ઈસમો નાહવા પડ્યા હતા અને અચાનક ઊંડા પાણીમાં તણાવવા લાગ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિક કક્ષાએથી જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને કરવામાં આવી હતી. કન્ટ્રોલ રૂમ દ્વારા સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર બ્રિગેડ, ૧૧૨, ૧૦૮ ઇમરજન્સી સેવા, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ વિભાગ તેમજ આણંદ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી.
સૂચના મળતાની સાથે જ ફાયરની ટીમ પોતાના આધુનિક સાધનો અને કુશળ તરવૈયાઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમના તરવૈયાઓએ ભારે જહેમત બાદ નદીના ઊંડા પાણીમાં ડૂબી રહેલા ત્રણેય ઈસમોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ સ્થળ પર હાજર ૧૦૮ અને આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપી તેઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ૧૧૨ ની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.
આ મેસેજ મળતા ની સાથે જ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જેમાં ઇન્ચાર્જ મામલતદારશ્રી (ડિઝાસ્ટર), આણંદ, ફાયર ઓફિસરશ્રી (KAMC), તાલુકા વિકાસ અધિકારીશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી, ૧૧૨ કોઓર્ડિનેટરશ્રી, મેડિકલ ઓફિસરશ્રી (વહેરાખાડી-PHC), સર્કલ ઓફિસરશ્રી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.





