
મહીસાગર જિલ્લાના વીરપુરના ઘાંચીવાડા વિસ્તારની સોસાયટીમાં ગટર નિસમસ્યા વિકરાળ:
ઘરોમાં ગટરના પાણીના પાણી બેક મારતા સ્થાનિક રહીશો પરેશાન
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલા ઘાંચીવાડા વિસ્તારની એક સોસાયટીમાં પાણીના નિકાલનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. એક તરફ વીરપુરના વિકાસના દાવા અને વિવિધ વિકાસકાર્યો જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી તરફ મૂળભૂત સુવિધા તરીકેની ગટર વ્યવસ્થાની સમસ્યા સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. જેના કારણે ગટર લાઈનો ચોક થઈ જતાં ગંદુ પાણી બેક મારીને સીધું લોકોના ઘરોમાં પ્રવેશી રહ્યું છે. ઘરોમાંથી ગટરનું દુર્ગંધયુક્ત પાણી નીકળતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યાના કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જોખમો પણ ઊભા થયા છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોએ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, છતાં હજુ સુધી સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી.
રહીશોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ગટર લાઈનોની સફાઈ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને ગંદકી અને દુર્ગંધમાંથી મુક્તિ મળી શકે અને સ્વચ્છ વાતાવરણમાં જીવન જીવવાની સુવિધા પ્રાપ્ત થાય તે જરૂરી છે.



