MORBI:આત્મનિર્ભર ખેડૂતથી આત્મનિર્ભર ભારત: કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી ‘પ્રાકૃતિક ખેતી પદ્ધતિ’

MORBI:આત્મનિર્ભર ખેડૂતથી આત્મનિર્ભર ભારત: કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી ‘પ્રાકૃતિક ખેતી પદ્ધતિ’
માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રના આધારે ૩૦ એકર જમીનમાં મબલખ પાક ઉત્પાદન મેળવવાનો વૈજ્ઞાનિક અભિગમ
ઓછા ઉત્પાદન ખર્ચે જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના જતન સાથે કૃષિ સંસ્કૃતિનું નવસર્જન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના હકારાત્મક અને પર્યાવરણલક્ષી અભિગમના પ્રતાપે આજે રાજ્યભરમાં ‘પ્રાકૃતિક ખેતી’ (Natural Farming) નો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સરકાર દ્વારા પણ વિશેષ કાર્યશાળાઓના માધ્યમથી ખેડૂતોને રાસાયણિક મુક્ત, ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવવા માટે સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી તદ્દન ઓછા ખર્ચે કરવામાં આવતી વૈજ્ઞાનિક ખેતી. આ પદ્ધતિની મુખ્ય વિશેષતા એ છે કે પાકની વૃદ્ધિ માટે જરૂરી કોઈ પણ ખેત સામગ્રી બજારમાંથી લાવવાની રહેતી નથી. ખેડૂતો પોતાના ખેતરમાં જ ઉપલબ્ધ પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક અને સપ્ત ધાન્યાંકુર અર્ક જેવા મુખ્ય ઘટકો તૈયાર કરીને સમૃદ્ધ પાક મેળવી શકે છે.
આ પદ્ધતિ અંતર્ગત માત્ર ૧ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી આશરે ૩૦ એકર જમીનમાં ખૂબ જ સરળતાથી ખેતી કાર્ય થઈ શકે છે. આ ક્રાંતિકારી ખેતી પદ્ધતિ અપનાવવાથી કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખર્ચ શૂન્ય થતાં ઉત્પાદન ખર્ચ ઘટે છે અને શુદ્ધ ઓર્ગેનિક પાકના બજારમાં ઊંચા ભાવો મળતા ખેડૂતોની આવક બે થી અઢી ગણી વધી જાય છે. આચ્છાદન, હ્યુમસ અને ‘વાપસા’ (જમીનની ભેજ ધારણ શક્તિ) ની વૈજ્ઞાનિક પદ્ધતિના લીધે ખેતીમાં ૯૦% જેટલી પાણી અને વીજળીની બચત થાય છે. મિત્ર કીટકો અને અળસિયા જેવા ઉપયોગી સૂક્ષ્મજીવોની ક્રિયાશીલતા વધતા જમીન ફળદ્રુપ બને છે અને રોગ-જીવાત તેમજ નિંદામણનું કુદરતી રીતે જ વ્યવસ્થાપન થાય છે.
મિશ્ર પાક પદ્ધતિ અને મજબૂત માળખાના કારણે પાક વાવાઝોડા કે કમોસમી વરસાદ જેવી આફતો સામે વધુ પ્રતિકારક બને છે. માનવજાતના સ્વાસ્થ્યની રક્ષા, જમીનનું ધોવાણ અટકાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. મોરબી જિલ્લાના ધરતીપુત્રો વધુમાં વધુ સંખ્યામાં આ કલ્યાણકારી પદ્ધતિ અપનાવી આત્મનિર્ભર બને અને ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપે તેવો સરકારનો અનુરોધ છે.


