MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂતોના ખેતરમાં પરાણે વીજપોલ ઊભા કરાતા ભારે બબાલ, ખેડૂતોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો







MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂતોના ખેતરમાં પરાણે વીજપોલ ઊભા કરાતા ભારે બબાલ, ખેડૂતોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો



“લાઇન અદાણી નાખે છે કે પોલીસ?” જેતપરમાં અદાણી કંપનીના વીજપોલ મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર રકઝક, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
મોરબી જિલ્લામાં ખેડૂતોની સંમતિ વિના પરાણે વીજ લાઇન નાખવાના મામલે વિવાદ વધુ વકર્યો છે. મોરબીના કહેવાતા બાહોશ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના પોતાના જ ગામ જેતપરમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ (અદાણી) કંપની અને ખેડૂતો વચ્ચે ભારે રકઝક ચાલી રહી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરાવવા જતાં મામલો ગરમાયો હતો અને પોલીસ તથા ખેડૂતો સામસામે આવી ગયા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ખેડૂતોનો આક્રોશ: “લાઈન અદાણી નાખે છે કે પોલીસ?”
જેતપર ગામે ખેડૂતોની કિંમતી જમીનમાં તેમની મંજૂરી વિના જ અદાણી કંપની દ્વારા ટ્રાન્સમિશન લાઇનના મસમોટા વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં કંપનીના માણસો અને સ્થાનિક ખેડૂતો વચ્ચે બબાલ ચાલી રહી છે. ત્યારે આજે પોલીસ કાફલાની હાજરીમાં ખેડૂતો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ ઘટનાને પગલે રોષે ભરાયેલા ખેડૂતોએ ગંભીર આક્ષેપો કરતાં સવાલ ઉઠાવ્યો છે કે, “અહીં અદાણી કંપની લાઇન નાખી રહી છે કે પોલીસ?” ખેડૂતોનો આરોપ છે કે પોલીસ જાણે અદાણી કંપનીના કર્મચારી તરીકે કામ કરી રહી હોય તેવું વર્તન કરીને ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મૌન સામે સવાલો
સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ સમગ્ર વિવાદ જેમના પોતાના મતક્ષેત્ર અને ગામમાં ચાલી રહ્યો છે, તેવા મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાલ આ બાબતે તદ્દન મૌન સાધીને બેઠા છે.
હંમેશા લોકપ્રશ્નો મુદ્દે એક્ટિવ રહેવાનો દાવો કરતા નેતાના જ વિસ્તારમાં ખેડૂતો પોતાના હક માટે પોલીસ સામે લડી રહ્યા છે, ત્યારે મંત્રીશ્રીની આ ચુપકીદીને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, “શું બાહોશ ધારાસભ્યને હવે ખેડૂતોના હમદર્દ બનવામાં કોઈ રસ નથી રહ્યો?”

હાલ તો જેતપર ગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને વીજ કંપનીની જોહુકમી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.



