ભરૂચમાં માર્ગ અને ટ્રાફિક સમસ્યાને લઈ કોંગ્રેસનું ચક્કાજામ અને ધરણા પ્રદર્શન, કાર્યકરોની અટકાયત


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીના બિસ્માર માર્ગ, ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના આગેવાઓએ આક્ષેપ કર્યો હતો કે સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તારની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે.વારંવાર રજૂઆતો છતાં જી.એસ.આર.ડી.સી. દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદવાલા, પૂર્વ વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, જુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાળા, અબ્દુલ કામથી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક માર્ગ સમારકામ, આર.સી.સી. રોડનું નિર્માણ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દરમિયાન ચક્કાજામ પ્રદર્શન દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.



