
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
માહિતી બ્યૂરો, ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ઉજવણી અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે “પ્રગતિ પથ યાત્રા” હેઠળ આજે SDH રાપર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન નવ નિયુક્ત ડોક્ટર્સ તથા આરોગ્ય કર્મચારીઓની ટીમ સાથે ચર્ચા કરવામાં આવી અને આરોગ્ય સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય કમલસિંહ સોઢા, આગેવાનશ્રીઓ ડોલરરાય ગોર, શકેશુભા વાઘેલા, મધુભા વાઘેલા, પરબતભાઈ ચાવડા, કાર્યકર્તાઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે દાતાશ્રીના સહયોગથી એક ટીબી દર્દીને પોષણ સહાયરૂપ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ રાશન કીટ સુપ્રિન્ટેન્ડન્ટ, SDH રાપરના હસ્તે દર્દીને અર્પણ કરવામાં આવી હતી. આ સહયોગ બદલ દાતાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને જનકેન્દ્રિત બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને સમાજના તમામ વર્ગોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.





