લાખણીના લવાણા ગામે ‘સનાતન સમરસતાનો મહાયજ્ઞ’ યોજાયો, 21 ગામોના વાલ્મિકી સમાજ સાથે ગરિમાપૂર્ણ ભોજન પ્રસાદનું આયોજન

લાખણીના લવાણા ગામે ‘સનાતન સમરસતાનો મહાયજ્ઞ’ યોજાયો, 21 ગામોના વાલ્મિકી સમાજ સાથે ગરિમાપૂર્ણ ભોજન પ્રસાદનું આયોજન
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
દિયોદર, તા. 15/06/2026
લાખણી તાલુકાના લવાણા ગામે રવિવારના રોજ એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત ‘સનાતન સમરસતાનો મહાયજ્ઞ’ યોજી હિંદવાણી વિસ્તારના 21 ગામોના વાલ્મિકી સમાજના લોકો સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
લવાણા ગામે રહેતા શ્રી વાઘેલા હીરાભાઈ પ્રેમાભાઈના નિવાસ સ્થાને યોજાયેલા આ મહાયજ્ઞમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નિરંજની પીઠાધીશ્વર, શ્રી નાનાકાપરા મઠના મહંત શ્રી 1008 કુરશીપૂરીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા.
સમાજમાં સમરસતાની ભાવનાને બળવત્તર કરવા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર હિંદવાણી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા. વાઘેલા પરિવાર દ્વારા વાલ્મિકી સમાજના આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, _”સમાજમાં આ એક પહેલ છે જે સમગ્ર જિલ્લામાં સમરસતાનો એક સંદેશ છે. સારા કામમાં જો કોઈ શુકન લેવું હોય તો વાલ્મિકી સમાજના લોકોને લેવું જોઈએ. આવા સેવાના કાર્યો સમાજને જોડવાનું કામ કરે છે.”_
મહંત કુરશીપૂરીજી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું કે, ‘સનાતન સમરસતાનો આ મહાયજ્ઞ થકી સમાજમાં એકતાનો સંદેશ ફેલાયો છે આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ માન. કિર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન માન. ડાયાભાઈ પિલિયાતર, વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ માન. ડો. નરેશ ઠાકોર, દિયોદરના ધારાસભ્ય માન. કેશાજી ચૌહાણ, થરાદ રાજપૂત સમાજ પ્રમુખશ્રી ડી.ડી. રાજપૂત, હિંદવાણી રાજપૂત સમાજ પ્રમુખ ડો. ઉદયસિંહ કે. રાજપૂત, શ્રી દશરથસિંહ હીરાજી વાઘેલા, પૂર્વ સરપંચ શ્રી રામાભાઈ રાજપૂત સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




