MORBI:મોરબી મનપા દ્વારા: જાહેર માર્ગો પરથી ૩,૫૦૨ રખડતાં પશુઓ પકડી પાંજરાપોળે મોકલાયા




MORBI:મોરબી મનપા દ્વારા: જાહેર માર્ગો પરથી ૩,૫૦૨ રખડતાં પશુઓ પકડી પાંજરાપોળે મોકલાયા

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતાં ઢોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબી મનપાની ANCD (એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) શાખા દ્વારા જુલાઈ ૨૦૨૬ સુધીમાં શહેરના વિવિધ જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા કુલ ૩,૫૦૨ રખડતાં પશુઓને પકડી પાડવામાં આવ્યા છે. આ તમામ પશુઓને મોરબી જિલ્લાની આજુબાજુની વિવિધ ગૌશાળાઓ તેમજ પાંજરાપોળ ખાતે આશ્રય માટે મોકલી આપવામાં આવ્યા છે.

પશુ માલિકો માટે લાયસન્સ અને ઘાસ વેચાણની પરમિટ મનપા દ્વારા પશુપાલન વ્યવસાયને નિયંત્રિત કરવા માટે પણ મહત્ત્વની કામગીરી કરવામાં આવી છે, જે અંતર્ગત: ૩૦૬ પશુ માલિકોને સત્તાવાર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. શહેરમાં નિયમબદ્ધ રીતે ઘાસ વેચાણ થાય તે માટે ૩૩ લોકોને ઘાસ વેચાણની પરમિટ આપવામાં આવી છે.

૨,૯૨૦ પશુઓનું RFID ટેગિંગ પૂર્ણ રખડતાં ઢોરોની ઓળખ અને તેના માલિકોની ભાળ મેળવવા માટે અત્યાર સુધીમાં કુલ ૨,૯૨૦ પશુઓનું RFID અને ટેગિંગ (Tagging) કરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ANCD શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી સમયમાં પણ આ ટેગિંગની કામગીરી સઘન રીતે યથાવત રાખવામાં આવશે.મહાનગરપાલિકા દ્વારા પશુઓની સાથે-સાથે પાલતુ શ્વાન (Pet Dogs) રાખતા નાગરિકો માટે પણ ઝુંબેશ શરૂ કરાઈ છે, જેમાં અત્યાર સુધી ૪૯ નાગરિકોના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.તંત્રની જાહેર અપીલ: મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા શહેરના તમામ પશુ માલિકોને પોતાના પશુઓનું વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવા તેમજ પેટ ડોગ ધરાવતા નાગરિકોને પોતાના પાલતુ શ્વાનનું અનિવાર્યપણે રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.



