MORBI:મોરબી સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ગુનો દાખલ

MORBI:મોરબી સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ગુનો દાખલ
મોરબી તાલુકાના જોધપર નદીની સીમમાં સાસરિયાં પક્ષના અસહ્ય માનસિક ત્રાસ અને રોજ-રોજના મહેણાં-ટોણાંથી કંટાળીને એક ૨૨ વર્ષીય પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પરિણીતાની ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં સાસુ, જેઠ અને જેઠાણી સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના જોધપર નદીની સીમમાં આવેલી બારામભાઈની વાડીએ સંયુક્ત પરિવારમાં રહેતા રજીયાબેન જબારખાન બલોચ (ઉં.વ. ૨૨) એ પોતાના સાસરિયાંઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રજીયાબેનના જણાવ્યા અનુસાર, તેમના સાસુ જરીનાબેન મીરખાન બલોચ, જેઠ રૂસ્તમખાન મીરખાન બલોચ (બંને રહે. મોરબી) તથા જેઠાણી જેનમબેન મોહમદ ખાન બલોચ (રેહ. હડમતીયા, તા. ટંકારા) દ્વારા તેમને ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારીને અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.સાસરિયા પક્ષના રોજ-રોજના આ ઘરકંકાસ અને માનસિક ઉત્પીડનથી આખરે કંટાળી જઈને રજીયાબેને આત્મઘાતી પગલું ભરવાનું નક્કી કર્યું હતું. તેઓએ પોતાના ખેતરમાં પડેલી ઘાસમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી બે ઢાંકણા દવા પી લઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાને પગલે પરિણીતાને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ રજીયાબેને મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં સાસુ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






