MORBI:મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ‘સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી’ સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન: ૨૫૦થી વધુ મહિલાઓએ લીધો ભાગ

MORBI:મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ‘સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી’ સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન: ૨૫૦થી વધુ મહિલાઓએ લીધો ભાગ
મોરબીની મહિલાઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ભગીરથ હેતુથી નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશેષ સેમિનાર ‘સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી: ડૉ. હેમાબેન પટેલ સાથે વિશેષ ચર્ચા’ ગઈકાલે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જી.આઈ.ડી.સી., શનાળા રોડ પર આવેલા સંસ્કારધામ હોલ ખાતે યોજાયેલા આ સેમિનારમાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી આશરે ૨૫૦થી વધુ મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં નિર્શિવ ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર આરતી રોહન તથા રોહનભાઈ રાંકજા દ્વારા મુખ્ય વક્તા અને જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. હેમાબેન પટેલનું પ્રકૃતિના પ્રતીક સમાન એક સુંદર છોડ (Plant) અર્પણ કરીને ડૉક્ટર સાહેબનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
સેમિનાર દરમિયાન મુખ્ય વક્તા ડૉ. હેમાબેન પટેલે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરે મહિલાઓના જીવનમાં આવતા મેનોપોઝ (ઋતુનિવૃત્તિ)ના તબક્કા વિશે વિસ્તૃત અને અત્યંત સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મેનોપોઝ દરમિયાન થતા હોર્મોનલ બદલાવો, અચાનક ગરમી લાગવી (હોટ ફ્લેશ), ઊંઘની સમસ્યા જેવા શારીરિક ફેરફારો તેમજ તણાવ, ચિંતા અને ચીડિયાપણું જેવા માનસિક પડકારો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો. આ સાથે જ મહિલાઓને આ ઉંમરે પણ ચપળ અને ઊર્જાવાન રહેવા માટે યોગ્ય આહાર, નિયમિત કસરત અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાની ખાસ સલાહ આપી હતી.
આ કાર્યક્રમનું સૌથી મહત્વનું પાસું ઓપન પ્રશ્નોત્તરી (Q&A Session) રહ્યું હતું, જેમાં ઉપસ્થિત મહિલાઓએ કોઈપણ સંકોચ રાખ્યા વિના પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતી મૂંઝવણો ડૉક્ટર સમક્ષ રજૂ કરી હતી. ડૉ. હેમાબેન દ્વારા તમામ બહેનોના પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સંતોષકારક જવાબો આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સુચારુ રૂપે સફળ બનાવવામાં નિર્શિવ ફાઉન્ડેશનની ટીમ અદિતિ વિરમગામા , ભક્તિ મારવાણીયા, ભૂમિ દેત્રોજા,બંસી વિડજા, શ્રુતિ રાંકજા, મીરા યશ પટેલ, એ રજીસ્ટ્રેશન અને સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા જાળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. . આટલી મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ અને જાગૃતિને જોઈને આગામી સમયમાં પણ મહિલા ઉત્કર્ષ માટે આવા લોકજાગૃતિના કાર્યક્રમો અવિરતપણે યોજવાની ફાઉન્ડેશનના સ્થાપકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.










