MORBI:સૌરાષ્ટ્રભરમાં ઈદે-મિલાદની ભવ્ય ઉજવણી, મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે નીકળ્યું ભવ્ય ઝુલૂસ




MORBI:સૌરાષ્ટ્રભરમાં ઈદે-મિલાદની ભવ્ય ઉજવણી, મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે નીકળ્યું ભવ્ય ઝુલૂસ

રીપોર્ટ મોહસીન શેખ દ્વારા – મોરબી, તા. ૨૬/૦૮/૨૦૨૬: ઈસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પવિત્ર જન્મદિવસની યાદમાં ઉજવાતા ઈદે-મિલાદુન્નબીના પાવન પર્વની બુધવારે સૌરાષ્ટ્રભરમાં શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેર સહિત વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, મિલાદ શરીફ, વાઈઝ તથા ભવ્ય ઝુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈદે-મિલાદના પર્વને લઈને મંગળવારની રાત્રે મોટી રાત નિમિત્તે વિવિધ મસ્જિદો તથા મુસ્લિમ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઈસ્લામિક કેલેન્ડરના રબી-ઉલ-અવ્વલ માસની ૧૨મી તારીખે ઉજવાતા આ પવિત્ર પર્વ નિમિત્તે મસ્જિદોમાં મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. સલામી બાદ પયગંબર હઝરત મહંમદ સાહેબના પવિત્ર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ન્યાઝનું આયોજન કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પ્રસાદરૂપે તકસીમ કરવામાં આવ્યો હતો. તેમજ પયગંબર સાહેબના બાલ મુબારકના દીદાર કરાવવામાં આવ્યા હતા. સમગ્ર વાતાવરણમાં ધાર્મિક માહોલ સાથે અકીદત અને શ્રદ્ધાની લાગણી જોવા મળી હતી.

મોરબી શહેરમાં બપોરના સમયે જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલૂસ નીકળ્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. યુવાનો, વડીલો તથા બાળકો નવા વસ્ત્રો ધારણ કરી ઝુલૂસમાં ઉત્સાહભેર જોડાયા હતા. ઝુલૂસ દરમિયાન ઈદે-મિલાદુન્નબીની મુબારકબાદી સાથે પયગંબર સાહેબ પ્રત્યેની અકીદત વ્યક્ત કરવામાં આવી હતી.
ઈદે-મિલાદના પવિત્ર પર્વની ખુશીમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા એકબીજાને મીઠાઈ વહેંચી મુબારકબાદી પાઠવવામાં આવી હતી. અનેક સ્થળોએ દાન-ખેરાત તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા.
મોરબી શહેરના મકરાણીવાસ, કુલીનગર, જોન્સનગર, કાલિકા પ્લોટ, સિપાઈવાસ સહિતના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં છેલ્લા ૧૨ દિવસથી ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ચાલી રહી હતી. આ દરમિયાન આલિમો દ્વારા વાઈઝ અને ધાર્મિક બયાનો કરવામાં આવ્યા હતા. ઈદે-મિલાદના દિવસે આ ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ઈદે-મિલાદના પવિત્ર પર્વને લઈને સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રોશની અને શણગાર કરવામાં આવતા વાતાવરણ પણ આકર્ષક બન્યું હતું. ભાઈચારો, એકતા, શાંતિ અને માનવતાનો સંદેશ આપતા આ પવિત્ર પર્વની મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.


