પોતાના જ ખેતરમાં ખેડૂત અસુરક્ષિત કેમ? ‘વન્યજીવ-કૃષિ સંરક્ષણ નીતિ અમલમાં મૂકવા કૃષિમંત્રી સમક્ષ રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જંગલી ભૂંડ-રોઝડાથી પાક બચાવો, સિંહ-દીપડાથી ખેડૂતોને સુરક્ષા આપવા ડો. નિરવ પટેલે કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.ગુજરાતના ખેડૂતોને જંગલી ભૂંડ અને નીલગાય (રોઝડા)ના વધતા ત્રાસથી પાક નુકસાન તો બીજી તરફ સિંહ-દીપડા જેવા હિંસક વન્યજીવોના ભયનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ‘રાજ્ય વન્યજીવ-કૃષિ સંરક્ષણ નીતિ’અમલમાં મૂકવાની માંગ સાથે ડો. નિરવ ભુલાભાઇ પટેલે કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
રજૂઆતમાં સોલાર ફેન્સિંગ અને ચેઇન-લિંક વાડ માટે ૮૦થી ૯૦% સબસિડી, ગામ કે સીમ સ્તરે સામૂહિક ફેન્સિંગ, વન્યજીવો માટે જંગલમાં પાણી-ઘાસચારાની વ્યવસ્થા અને વન્યજીવ સંઘર્ષના કિસ્સામાં ઝડપી સહાયની માંગ કરાઈ છે.
પાક નુકસાન, પશુ મારણ કે માનવ ઇજા-મૃત્યુના વળતરની પ્રક્રિયા પેપરલેસ કરી ૭ દિવસમાં સીધી બેંક ખાતામાં ચૂકવણી તેમજ વળતરના દરોમાં વધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ડો. નિરવ પટેલે જણાવ્યું કે, “ગુજરાતનો ખેડૂત દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ખેડૂત પોતાના જ ખેતરમાં ભયના ઓથાર હેઠળ જીવશે તો ગ્રામ્ય અર્થતંત્ર પણ જોખમમાં આવશે.”
વન વિભાગ અને કૃષિ વિભાગની સંયુક્ત ‘યુનાઇટેડ ટાસ્ક ફોર્સ’ બનાવી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મિશન મોડમાં કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં નીલગાય અને જંગલી ભૂંડથી પાક નુકસાનની સમસ્યા અગાઉ પણ નોંધાઈ ચૂકી છે.


