દિલ્હીના કંઝાવાલામાં કાર નીચે એક 20 વર્ષની યુવતીને 12 કિ.મી. સુધી ઢસડી જવા મામલે દિલ્હી પોલીસે 17 દિવસ બાદ આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે આ મામલે હત્યાનો ગુનો નોંધવા માટે કહ્યું હતું. 31 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટના સમયે તમામ આરોપીઓ નશામાં ધૂત હોવાનો પણ ખુલાસો થયો છે. આ ખુલાસો તેમના બ્લડ રિપોર્ટ દ્વારા કરાયો હતો. સૂત્રોએ આ માહિતી આપી હતી.
આરોપીઓએ નશો કરેલો હતો
ગત અઠવાડિયે શુક્રવારે જ એફએસએલ રોહિણીએ દિલ્હી પોલીસને આરોપીઓના બ્લડ ટેસ્ટના રિપોર્ટ સોપ્યા હતા, જેના દ્વારા માહિતી મળી કે આરોપીઓ તે સમયે નશામાં ચૂર હતા. તે સમયે કારમાં ચાર લોકો હાજર હતા. તેમણે પીડિતાની સ્કૂટીને પહેલા કાર વડે ટક્કર મારી અને પછી તેને અનેક કિ.મી. સુધી ઘસડી નાખી હતી. આ ઘટનામાં પીડિતા મૃત્યુ પામી ગઈ હતી.
બે આરોપીઓ જામીન પર મુક્ત
આ મામલે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી બે આરોપી અંકુશ ખન્ના અને આશુતોષને કોર્ટે જામીન આપી દીધા હતા. બીજી બાજુ ગત અઠવાડિયે જ દિલ્હી પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં પોતાના જ 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જેમને સસ્પેન્ડ કરાયા તે ઘટનાના સમયે રસ્તામાં પીસીઆર અને ચોકીઓ પર ડ્યૂટી કરી રહ્યા હતા.