વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાની શિવારીમાળ અંધજન શાળા ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થીનું નદીનાં ચેકડેમમાં ન્હાતી વેળાએ ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે…પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ શિવારીમાળ ગામ ખાતે ચાલતી અંધજન આશ્રમ શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી નામે સતીષભાઈ રમેશભાઈ જોપળે ઉ.14 મૂળ.રે મહારદર.તા.આહવા જી.ડાંગનાઓ ગત 30-03-2023 નાં રોજ અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ જોડે આશ્રમશાળા નજીક આવેલ નદીનાં ચીંચવાંગણનાં ચેકડેમમાં ન્હાવા તથા કપડા ધોવા માટે ગયો હતો.અહી ચેકડેમ ખાતેથી નાહી ધોઈને અન્ય વિદ્યાર્થીઓ પરત શાળાનાં હોસ્ટેલમાં આવી ગયા હતા.જ્યારે આ દિવ્યાંગ વિદ્યાર્થી નામે સતીષભાઈ રમેશભાઈ જોપળે નાહી ધોઈને પરત ન ફરી ગુમ થઈ જતા શાળાનાં સંચાલક સહિત આચાર્યએ શોધખોળ હાથ ધરી હતી.શાળા સંચાલક તથા આચાર્ય દ્વારા ચેકડેમનાં સ્થળે જઈ તપાસ હાથ ધરતા અહીથી માત્ર આ દિવ્યાંગ બાળકનાં કપડા મળી આવ્યા હતા.બાદમાં ગામનાં તરવૈયાઓ બોલાવી ચેકડેમનાં પાણીમાં પણ તપાસ હાથ ધરી હતી.પરંતુ આ ડૂબી ગયેલ દિવ્યાંગ બાળકની કોઈ ભાળ મળી ન હતી.તેવામાં બે દિવસ બાદ આ ગુમ થયેલ દિવ્યાંગ બાળકની લાશ ચીંચવાંગણનાં ચેકડેમનાં પાણીની બહાર તરતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આ બનાવની જાણ શાળા સંચાલકોએ સાપુતારા પોલીસ મથકે કરતા સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જે. નિરંજનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.સ્થળ પરથી સાપુતારા પોલીસની ટીમે વાલી વારસો તથા શાળા સંચાલકોની હાજરીમાં પંચનામુ કરી દિવ્યાંગ બાળકની લાશનો કબ્જો મેળવી પી.એમનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.ડાંગ જિલ્લાનાં શિવારીમાળ અંધજન શાળા ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતો દિવ્યાંગ વિધાર્થી નામે સતીષભાઈ જોપળેનું ખરેખર પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ છે કે અન્ય રીતે મોત નીપજ્યુ છે.જે બાબતે વલસાડ ફોરેન્સિક વિભાગની ટીમે પણ સ્થળ પર ધસી જઈ સેમ્પલ એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે.હાલમાં મૃતક દિવ્યાંગ બાળકનાં પિતા રમેશભાઈ તુકારામભાઈ જોપળેએ આ બનાવ સંદર્ભે જાહેરાત લખાવતા સાપુતારા પોલીસની ટીમે અમોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે…