JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરના અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન(ક્રિકેટ બંગલા)માં જિલ્લા કક્ષાના ૯ માં ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

જામનગર તા. 21 જૂન,

જામનગર શહેરમાં અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે જિલ્લા કક્ષાની ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વર્ષ 2015 માં તા. 21 જૂનથી ‘સંયુક્ત રાષ્ટ્ર પરિષદ’ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંગે, યુ.એન.જી.એ. એ સમર્થન આપ્યું છે કે, યોગ જીવનના તમામ પાસાઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે, ઉપરાંત આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી પગલું છે.

જામનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર હર્શિદાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ હાજર લોકોએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. ઓમકારના ઉચ્ચારણ, શંખનાદ અને પ્રાર્થનાની સાથે ઉપસ્થિત લોકોએ યોગ અભ્યાસ કર્યો હતો. આ વર્ષે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રાજ્યના 75 આઇકોનિક સ્થળોની યાદીમાં જામનગરની મહિલા કોલેજ અને ધ્રોલની જી. એમ. પટેલ સ્કૂલ- આ 2 સ્થળોનો વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્ષણે, કાર્યક્રમના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે 9 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વસુધૈવ કૂટુંબકમની ભાવનાનો માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વસ્તરે સ્વીકાર કરવામાં આવ્યો છે. યોગ એ આપણા જીવવનો અભિન્ન હિસ્સો છે. ભારતની સંસ્કૃતિ અને યોગનો આજે વિશ્વભરમાં ખુલ્લા દિલથી સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ તકે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ‘યોગ ફોર વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સ્તરે યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનાથી અનેક લોકોને રોજગારી મળી છે. 180 દેશથી વધુ દેશના લોકો અમેરિકામાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે ભારતની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરના યોગ કાર્યક્રમમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત ખાતે કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યભરની જનતાને વિશ્વ યોગ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. ગુજરાતમાં 72,000 સ્થળોએથી સવા કરોડ જેટલા લોકો દ્વારા યોગ કરવામાં આવશે. સુરતમાં 1,20,000 કરતા વધુ લોકોએ આજે યોગ કર્યા હતા. આ સંખ્યાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી મધ્યપ્રદેશના જબલપુરમાં કરવામાં આવશે.

કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત, શહેર મામલતદાર વી. આર. માકડિયા, મુખ્ય કારોબારી અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા, જિલ્લા હોમ ગાર્ડઝ કમાન્ડન્ડર સુરેશ ભીંડી, અગ્રણીઓ રમેશ મુંગરા, દિલીપ ભોજાણી,પ્રવિણસિંહજી, એન. સી. સી. કેડેટ્સ, બી. એસ. એફ. ના જવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, એન. જી. ઓ. મેમ્બર્સ, વિવિધ સંસ્થાના યોગ પ્રશિક્ષકશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!