દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ થયો ચરિતાર્થ
જિલ્લાના છેવાડાના નાગરિકો સુધી સરકારની મહત્વની ફલેગશિપ યોજનાઓનો પહોંચ્યો લાભ
જિલ્લાની ૨૪૦ ગ્રામ પંચાયતના ૧.૨૯ લાખથી વધુ ગ્રામજનો બન્યા સહભાગી
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સમગ્ર દેશની સાથે સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગુજરાત રાજ્ય પણ ખભે ખભો મીલાવીને આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી અશોક શર્મા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી.ધાનાણીના માર્ગદર્શન હેઠળ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંપન્ન કરી વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ હેઠળ જિલ્લાના તમામ ગામડાઓના લોકોને આવરી લેવામાં આવ્યા છે. સરકારશ્રી દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચીને તેમને યોજનાના લાભ આપવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી હતી તે હેતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચરિતાર્થ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગામડે ગામડે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાના લાભ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે
ભારત સરકારની જન કલ્યાણકારી યોજનાઓ ગામે ગામ લોકો સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી હતી. વંચિતો સુધી યોજનાઓના લાભ આ રથના માધ્યમથી પહોંચે તેવા ઉમદા હેતુ સાથે ૧૫ નવેમ્બરથી દેશમાં આ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ૨૬ નવેમ્બરથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધરમપુરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૦૨ મહિના સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી ગામે ગામ સુધી સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો પહોચાડવામાં આવ્યો હતો. બે મહિના સુધી ભ્રમણ કરેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જિલ્લાની તમામ ૨૪૦ ગ્રામ પંચાયતો સુધી પહોંચી હતી.જેમાં ૧,૨૯,૯૮૦ જેટલા ગ્રામજનો આ યાત્રામાં સહભાગી બન્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાનો માનવી પણ સરકારની યોજનાઓના લાભ વંચિત ન રહે તેમજ તમામને સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. સરકારશ્રી દ્વારા નાગરિકોના આરોગ્યની દરકાર લઈને અનેકવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. જેના અનુસંધાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન જિલ્લાના ૩૫ હજારથી વધુ નાગરિકોના આરોગ્યની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. જેમાં ૦૫ હજાર કરતાં વધુ નાગરિકોની ટી.બીની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા મુખ્ય ઉદ્દેશ્ય સરકારની મહત્વની જન સામાન્યને સ્પર્શતી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડીને ૧૦૦% સેચ્યુરેશન લક્ષ્યાંકને સિધ્ધ કરવાનો છે.
વિવિધ ક્ષેત્રે પોતાની કલા અને કૌશલ્ય થકી અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, સ્થાનિક કલાકારો તેમજ રમતવીરો ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર જિલ્લાના ૨,૨૬૧ જેટલાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા ૨૩૬ ગ્રામ પંચાયતોમાં જલ જીવન મિશન, ૧૬૪ ગ્રામ પંચાયતોમાં જન ધન યોજના, ૧૮૨ ગ્રામ પંચાયતોમાં પી.એમ. કિસાન યોજના, ૨૧૪ ગ્રામ પંચાયતોમાં જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનમાં ૧૦૦% સિદ્ધી હાંસલ કરવામાં આવી છે. જ્યારે આયુષ્માન કાર્ડ યોજના હેઠળ ૧૫૯ ગ્રામ પંચાયતો ૧૦૦% સિદ્ધી હાંસલ કરી છે.
સમગ્ર દેશ તથા રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈ તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા ઉમદા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જિલ્લાના ૨૨૪ જેટલા ગામોમાં “ધરતી કહે પુકાર કે” નુક્કડ નાટક દ્વારા નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આમ, સાચા અર્થમાં સરકારના જનકલ્યાણના સંકલ્પને સિધ્ધ કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર જિલ્લામાં ભ્રમણ કરેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચરિતાર્થ થઇ હતી.