વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી , તા. ૧૬ ઓક્ટોબર : કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓને પગારપંચ તેમજ અન્ય લાભો લાગુ પાડવાનું રાજ્ય સરકારે સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગઈ કાલે જુલાઈ-૨૦૨૪ ની અસરથી મોંઘવારી ભથ્થાના દરમાં ૩% નો વધારો કરી ૫૦% થી ૫૩% જાહેર કરેલ છે. ત્યારે હાલની અસહ્ય મોંઘવારી તેમજ દિવાળીના તહેવારોને ધ્યાને લઈ રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓને આપવામાં આવતાં મોંઘવારી ભથ્થામાં પણ જુલાઈ-૨૦૨૪ ની અસરથી 3% મોંઘવારી ભથ્થુ આપી ૫૩% કરવા અંગેનો હુકમ બહાર પાડવામાં આવે તો દિવાળીના તહેવારમાં કર્મચારીઓઓમાં અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી ઉદ્દભવશે. આથી રાજ્યના અધિકારી/કર્મચારીઓને કેન્દ્રના ધોરણે 3% મોંધવારી ભથ્થુ વધારો જાહેર કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિન પટેલ ઉપરાંત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ પટેલ તથા મહામંત્રી ભરત ચૌધરી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અલગ – અલગ પત્રો લખીને માંગ કરવામાં આવી હોવાનું રાજ્ય સંગઠનના હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.