ગરબાડા ભીલ સમાજ પંચ દ્વારા આદિવાસી સમાજમાં લગ્નોમાં ચાલતા દહેજ,દારૂ અને ડી.જે બંધ કરાવવા માટે ગરબાડા પોલીસ મથક તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે જિલ્લામાં આદિવાસી સમાજમાં શિક્ષણ નું સ્તર આઝાદીના 75 વર્ષ પછી પણ નીચું અને ચિંતાજનક છે.આદિવાસી સમુદાય પૈકી ભીલ સમુદાયમાં લગ્નસરાની સિઝન શરૂ થનાર છે આ સમાજમાં લગ્ન માં કન્યાઓના ભારેખમ દહેજ તથા સ્વાસ્થ્ય માટે ભારે નુકસાનકર્તા ડી.જે નો બેફામ ઉપયોગ થાય છે જેના કારણે આ સમાજ સામાજિક તેમજ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે અને લગ્ન પછી દેવું થતા મજૂરી અર્થે બહાર ગામ સ્થળાંતર થવાના કારણે શૈક્ષણિક પ્રશ્ન પણ ઉદભવે છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગોમાં વપરાશ કરવામાં આવે છે આ બાબતે પોલીસ પણ આંખ આડા કાન કરી સમાજને પાયમાલ થવામાં નિમિત બને છે.ડી.જે જેવા પ પક્ષિમી વાદ્ય અવાજનો પ્રદૂષણ વધારી બાળકો મહિલાઓ વડીલોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે હાલ ૧૪મી માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે તો વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવામાં આવે અને પ્રસંગોચિત પૂર્વ મંજૂરીથી જ નિયંત્રિત વિસ્તાર સિવાયના સ્થળે મર્યાદિત સમય માટે વગાડવામાં આવે તે માટે જરૂરી પગલા લઈ જે તે વિભાગોને અમલ કરવા માટે કડક લેખિત સૂચના આપવામાં આવે તે માટે ભીલ સમાજ પંચ દ્વારા ગરબાડા પોલીસ મથકે તેમજ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી.જેમાં ગરબાડા તાલુકાના સામાજિક આગેવાનો મનુભાઈ ભાભોર,રસુલભાઇ ભુરીયા, છત્રસિંહ મંડોડ,જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી, સરપંચો,ભીલ સમાજ પંચના પ્રમુખ શૈલેષભાઈ માખોડિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.