વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે સેવા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 45 ગામોની 2600 બહેનોને સંબોધતા કાર્યક્રમમાં મુખ્ય વક્તા સેવા ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિતા જૈને જણાવ્યું હતું કે મહિલાઓ ગમે તે ક્ષેત્રમાં રહેતી હોય તે પોતાનામાં જ સશક્ત બને છે. કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી સાધ્વી હેતલ દીદીએ પણ આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ડો.વેદે સેવા ભારતી દ્વારા આદિવાસી મહિલાઓ માટે ચલાવવામાં આવતા પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. શિક્ષણ, સ્વાવલંબન, સ્વચ્છતા, દવા અને સામાજિક આ પાંચ વિષયોને આવરી લેતા 45 ગામોમાં આરોગ્ય મિત્ર બહેન દ્વારા આરોગ્ય મંડળનું સંચાલન કરવામાં આવે છે. મહિલાઓને સ્વરોજગાર તાલીમ અને દવાઓનું વિતરણ કરવામાં આવે છે. કાર્યક્રમમાં ડાંગી સંસ્કૃતિને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની બાળકી રિદ્ધિ પટેલ દ્વારા દેવ સ્તુતિ રજૂ કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા રામ સ્તુતિ અને વંદે માતરમ પર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.
કલા બેન, સતીષભાઈ એ પ્રકલ્પ અને વિકસિત ગામોમાં સેવા ક્ષેત્રે કરેલી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ડો. અખિલેશ પાંડે જી દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું તેઓએ મહિલાઓને આત્મનિર્ભરતા તરફ કેવી રીતે આગળ વધવું તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. મહિલાઓની ભાગીદારી માત્ર પોતાની અંદર જ નહીં પરંતુ તેમના પરિવાર અને સમાજમાં પણ વધવી જોઈએ. આ કાર્યક્રમમાં સેવા ભારતીના પ્રાંત સંગઠન મંત્રી ઘનશ્યામ ભાઈ, ગુજરાત સેવા ભારતીના મહામંત્રી ગીરીશ ભાઈ, નિમિષા બેન, નિર્મલા બેન ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સુન્તા બેન બાગુલે આભારવિધિ કરી હતી.