જેતપુર પંથકમાં મુશળધાર વરસાદને પગલે સારણ નદીમાં ભારે પુર આવ્યું હતું જેને લઈને જેતપુર નગરપાલિકાની પાણીની લાઈન તૂટી
તા.૨૧/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બે દિવસ પૂર્વે જેતપુર પંથકમાં મુશળધાર વરસાદને પગલે શહેરમાંથી પસાર થતી સારણ નદીમાં ભારે પુર આવ્યું હતું. પુરને કારણે નદી બે કાંઠે વહેતી હતી. અને પુરના પાણીના ભારે પ્રવાહને કારણે જેતપુર નગરપાલિકાના જુના ગામતણને પીવાનું પાણી પૂરું પાડતી પાણીની ટાંકીની પાણીની લાઈન વહી ગઈ હતી.
જેતપુર શહેરના ઉજડપ્પા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી કે જેમાંથી અડધા શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ટાંકીમાં શહેરના અમરનગર રોડ પર આવેલ નગરપાલિકાના પાણીના સંપથી પાઇપ લાઈન દ્વારા પાણી આવે છે. જેમાં આ પાઇપ લાઈન વચ્ચે સારણ નદીમાંથી પસાર થાય છે. ત્યાં નદીમાં વચ્ચે કોન્ક્રેટના પિલર બનાવી તેના ઉપરથી પાઇપ લાઈન પસાર કરવામાં આવી છે. અને અહીં ભારે પુરને કારણે પિલર ધરાશયી થતા તેના ઉપર રહેલ પાઇપ લાઈન પણ તૂટી પડી હતી. જેના કારણે ટાંકીમાં પાણી સપ્લાય બંધ થતાં બે દિવસથી પાણી વગર શહેરમાં દેકારો બોલી ગયો છે.
અને પાણીની લાઈન વહી ગઈ તે જગ્યા નદીના પટમાં હોય અને હાલ ત્યાં અતિશય કાદવ કીચડને કારણે ચાલીને પણ જવું મુશ્કેલ છે. ત્યાં નગરપાલિકા લાઈન રીપેર કરાવે છે. અને તેમાં વચ્ચે વચ્ચે વરસાદ અડચણરૂપ બને છે. તેમ છતાં પીવાના પાણીની પ્રાથમિકતા સમજી નગરપાલિકાના દ્વારા શક્ય હોય તેટલી ઝડપથી પચાસથી સાંઠ ફૂટ જેટલી તૂટી ગયેલ પાઇપ લાઈનની જગ્યાએ નવી પાઇપ લાઈન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.