GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

સી.બી.સી., સુગર, કૉલેસ્ટ્રોલ, પ્રોટીનના બ્લડ રીપોર્ટસ,ઈ.સી.જી., એક્સ-રે સહિતના ફિટનેસ ટેસ્ટ કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

પૂર્વ કચ્છના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓએ હેલ્થ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો

ગાંધીધામ,તા-૧૯ ડિસેમ્બર : ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીધામના રેડક્રોસ ભવન ખાતે પત્રકારશ્રીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દર્શનમાં ફીટ ઇન્ડીયા, ફીટ મીડિયાના લક્ષ્ય સાથે રાજ્યભરમાં પત્રકારશ્રીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ રેડક્રોસ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારશ્રીઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતાં. ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો ૫૦થી વધુ પત્રકારશ્રીઓ, ફોટોગ્રાફરશ્રીઓ લાભ લીધો હતો.ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય, ઇન્ડીયન રેડક્રોશ સોસાયટી રાજય શાખાના માજી ચેરમેન તથા જિલ્લા શાખાના એક્ઝીકયુટીવ સભ્ય શ્રી ડો.ભાવેશ આચાર્ય તથા રેડક્રોસના ચેરમેનશ્રી ધવલભાઈ આચાર્યે ખાસ ઉપસ્થિત રહીને પત્રકારશ્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ડો. નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, વિકસિત ભારત, વિકસિત ગુજરાતની નેમ સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે ત્યારે મીડિયાકર્મીઓની પણ રાજ્ય સરકાર ચિંતા સેવી રહી છે. તેઓના સ્વાસ્થ્ય માટે આયોજીત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાગ લેનાર જાગૃત મીડિયાકર્મીઓને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે, આજના સમયમાં મીડિયાકર્મીઓની ૨૪ કલાકની ડયુટી વચ્ચે તેમનું આરોગ્ય જળવાય તે જરૂરી બન્યું છે. આ માટે અગાઉથી રોગનિદાન થાય તે જરૂરી છે. આ માટે રેડક્રોસ સહયોગી બન્યું છે અને હંમેશા બનતું રહેશે. જયારે ડો.ભાવેશભાઇ આચાર્યે રેડક્રોસના સહયોગથી આયોજીત આરોગ્ય કેમ્પની સેવાને બિરદાવીને ગાંધીધામ રેડક્રોસની કાર્યરત સેવાઓથી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા.શ્રી ધવલભાઇ આચાર્યે પોતાના પ્રતિભાવ આપતા એક કદમ સ્વસ્થ ભારત તરફના વિચારને મૂર્તિમંત કરવા રેડક્રોસ હંમેશા રાજય સરકારની સાથે હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, લોકશાહીની ચોથી જાગીર જો સ્વસ્થ હશે તો તે દેશ અને રાજ્યની વિકાસપ્રક્રિયામાં સક્રીય સહભાગી બની શકશે. આ વિચાર સાથે આયોજીત કેમ્પમાં મીડિયાકર્મીઓની ખાસ ચિંતા સેવીને નિ:શુલ્ક વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે આ કેમ્પને પત્રકારશ્રીઓમાં આરોગ્ય જાગૃતિ સાથે વહેલા નિદાનથી રોગનિવારણમાં મદદરૂપ બનશે તેવો આશાવાદ સેવ્યો હતો. આ ટાંકણે તેમણે રેડક્રોસની વિવિધ પ્રવૃતિની વિગતો આપવા સાથે રેડક્રોસ દ્વારા કચ્છમાં જે તાલુકામાં બલ્ડબેંક નથી ત્યાં રીપ્લેસમેન્ટ વગર બ્લડબેંકની સુવિધા પુરી પાડવાની નેમ વ્યકત કરી હતી. આ હેલ્થ કેમ્પમાં નાયબ માહિતી નિયામક ભુજ કચ્છ શ્રી ઘનશ્યામ પેડવા, જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષકશ્રી એ.જે.ખત્રી અને શ્રી એસ.આઈ.કેવલ તથા કર્મચારીશ્રી ઇમરાન સુમરા, અનિરુધ્ધસિંહ જાડેજા, રાજેશ ડુંગરાણી, હર્ષદ જોગી, રફીક લંગા, આનંદ પરમાર, ભાવિક ગોસ્વામી સહિત પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ,પ્રતિનિધિશ્રીઓ, કેમેરામેન, વીડિયોગ્રાફરશ્રીઓ અને જિલ્લા માહિતી કચેરી ભુજ – કચ્છનો સ્ટાફ તેમજ રેડક્રોસ ગાંધીધામનો સ્ટાફ જોડાયો હતો.

Back to top button
error: Content is protected !!