ઉર્જા રાજ્યમંત્રી અને જિલ્લાના સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ જૂનાગઢ શહેર-જિલ્લાના પ્રજાકીય પ્રશ્નો નિવારવા પદાધિકારીઓ- અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
ઉર્જા રાજ્યમંત્રી અને જિલ્લાના સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ જૂનાગઢ શહેર-જિલ્લાના પ્રજાકીય પ્રશ્નો નિવારવા પદાધિકારીઓ- અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને જિલ્લાના સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ આજે જૂનાગઢ શહેર- જિલ્લાના પ્રશ્નો નિવારવા માટે મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારી- અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં ઉર્જા રાજ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે ખાસ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ ભાગરૂપે ભાવિકો માટેની વ્યવસ્થા સુવિધાઓના સંદર્ભમાં પરામર્શ કર્યો હતો.ઉર્જા રાજ્યમંત્રીશ્રીએ મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો પધારતા હોય ત્યારે રસ્તા, પાર્કિંગ સહિતની મૂળભૂત સુવિધાઓ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ઉર્જા રાજ્યમંત્રીશ્રીએ ખાસ જૂનાગઢ જિલ્લામાં મગફળી સહિતની ટેકાના ભાવે થતી ખરીદી અને ખેડૂતો માટેના રાહત સહાય પેકેજ સંદર્ભે થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ ખાસ ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો પર ખેડૂતોને મુશ્કેલીઓ ન પડે તે માટે ખાસ સતત દેખરેખ રાખવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે ખેડૂતોને રાહત સહાય પેકેજ હેઠળની ચુકવણીઓ ઝડપભેર થાય તે માટે પણ માર્ગદર્શન કર્યું હતું.મહત્વનું છે કે, જિલ્લામાં કમોસમી વરસાદથી કૃષિ પાકના નુકસાની ૧.૬૦ લાખ અરજીઓ થઈ છે. જે પૈકી ૩૪,૩૦૦ ખેડૂતોને કુલ રૂ.૧૦૭ કરોડની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં એપીએમસી સહિતના કુલ ૪૮ સ્થળો પર ટેકાના ભાવે મગફળી સહિતની ખેતપેદાશોની ખરીદી કરવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં આશરે ૩૮,૫૦૦ જેટલા ખેડૂતો મગફળીનું વેચાણ કરી ચૂક્યા છે, અને કુલ ૮.૫૦ લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાને આગમન વેળાએ મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શહેર અગ્રણી શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણીએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરવાની સાથે સાલ ઓઢાડી ભાવભેર આવકાર્યા હતા.જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, કમિશનર શ્રી તેજસ પરમાર અને જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરાએ પુષ્પગચ્છ અર્પણ કરી આવકાર્યાં હતા. આ તકે મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.એ. જાડેજા, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી સુશીલ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





