GUJARATJUNAGADHKESHOD

ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભૌગોલિક વિસ્તારનો અભ્યાસ શરુ કરવામાં આવ્યો સર્વેની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રુ. ૫ કરોડની ફાળવણી

માર્ચ-૨૦૨૫ સુધીમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે...

પાણી ભરાવાની વર્ષો પુરાણી સમસ્યા ઉકેલવા જિલ્લા વહીવટી તંત્રની કવાયત: જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાનું માર્ગદર્શન જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં ૨૦ થી ૬૦ દિવસ સુધી વરસાદી ભરાયેલું રહે છે : ઓછા સમયમાં વરસાદી પાણીના નિકાલ સારુ આવશ્યક સ્ટ્રકચરો માટેના સૂચનો: આલેખન કરવાની કામગીરી પ્રગતિ તળે જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નના કાયમી ઉકેલ લાવવાની દિશામાં  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ૨૦ થી ૬૦ દિવસ સુધી ભરાયેલું રહે છે, આ વર્ષો પુરાણી સમસ્યાથી ખેતી અને જનજીવનને વ્યાપક અસરો પહોંચે છે. આ સમસ્યાઓનું કાયમી નિવારણ થઈ શકે અને સ્થાનિકોના પ્રશ્નોને નિવારવા જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં કેટલાક પગલાંઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. લાંબા સમય સુધી ભરાઈ રહેતા વરસાદી પાણીનો ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે જિલ્લાના આ ઘેડ વિસ્તારનો ભૌગોલિક અભ્યાસ એટલે કે સર્વે શરુ કરવામાં આવ્યો છે, સર્વેની આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રુ. ૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. જે માર્ચ-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઓઝત નદીની ટીકર ગામ પાસે વહન ક્ષમતા એક લાખ અઢાર હજાર કયુસેક (૧,૧૮,૦૦૦ cusec) છે, નદીની પહોળાઈ ૧૩૫ મીટર જેટલી છે. જેની સામે ટીકરથી હેઠવાસમાં બામણાસા ગામ પાસે પસાર થતી  ઓઝત નદીની વહન ક્ષમતા ઘટીને ૩૬,૦૦૦ ક્યુસેક થઈ જાય છે અને નદીની પહોળાઈ ૪૦ મીટર થઈ જવા પામે છે તથા મટીયાણા – આંબલીયા તરફ જતી ઓઝત નદીની વહન ક્ષમતા ૨૪,૦૦૦ ક્યુસેક થઈ જાય છે અને ક્રમશઃ ઘેડ વિસ્તાર તરફ આગળ વધતા નદી વધુ સાંકડી થતી જાય છે. ઘેડ વિસ્તારમાં ઓઝત નદીના કાંઠા પર માટીના પાળા બંધાયેલા છે, ઉપરવાસમાં વરસાદ પડતાં અને નદીની વહનક્ષમતા કરતા વધુ માત્રામાં આવતા પાણીના પ્રવાહના લીધે નદી પર બાંધેલા માટીનાં પાળા પરથી પાણી ઓવર-ફ્લેન્ક થાય છે, જેને કારણે પાળાઓ તૂટવા લાગે છે. હાલ કોયલાણા ગામમાં ૧૧,  માટીયાણામાં  ૮, બામણાસામાં ૪ બાલાગામમાં ૪,  ઇન્દ્રાણા ગામમાં ૩, ભાથરોટ ગામમાં ૩,  બગસરા (ઘેડ) ગામમાં ૪, ઓસા ગામમાં ૬,  ઘોડાદર ગામમાં ૮, સામરડા ગામમાં ૩  જેટલી જગ્યાએ ઓઝત નદીના પાળા તૂટ્યા હતા. પાળા તૂટવાના કારણે જમીન ધોવાણના કિસ્સા પણ બને છે. નદીની વહન ક્ષમતા કરતા વધુ પાણી ઓઝત નદીમાં આવવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ બને છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તે માટે નદી પરના પાળા દૂર કરવા તથા નદીને મૂળ પહોળાઈ મુજબ ખુલ્લી કરવા માપણી કાર્યવાહી શરુ છે. જે અન્વયે બામણાસા અને બાલાગામની માપણી પૂર્ણ થઈ છે.  બાકી રહેતા ગામની માપણી પણ વહેલી તકે પૂર્ણ કરવાનું જિલ્લા વહીવટી તંત્રનું આયોજન છે. ઘેડ વિસ્તારમાં આશરે ૨૦-૬૦ દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે, તેના કાયમી ઉકેલ માટે જૂનાગઢ સિંચાઇ વિભાગ દ્વારા કન્સલ્ટન્સી નીમવામાં આવી છે. કન્સલ્ટન્ટ દ્વારા સ્ત્રાવ ક્ષેત્ર તથા પૂર દરમિયાન ડૂબમાં રહેતા વિસ્તારની ભૌગોલિક રચનાનો અભ્યાસ કરી ઘેડ વિસ્તારમાં લાંબા સમય સુધી ભરાઈ રહેતા આ પાણી ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે જરુરી સ્ટ્રકચરોના સૂચનો તથા આલેખન કરવાના થાય તે બાબતે કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી ફેબ્રુઆરી-૨૦૨૫ થી માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આખરી થયેલા સૂચનો મુજબના અંદાજપત્રો બનાવી આગામી બજેટમાં સમાવેશ કરવામાં આવશે. હાલમાં તૂટેલા પાળાઓની કામગીરી માટીની ઉપલબ્ધિને ધ્યાને લઈ કાર્ય પ્રગતિ હેઠળ છે.

 

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!