
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૧૪ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા હી સેવાની થીમ “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની ભાવના જનજનમાં ઉજાગર કરવા આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાનના આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કચ્છના દરેક ગામો સ્વચ્છતામાં અવ્વલ બને અને જનજન સુધી સ્વચ્છતા એક અભિયાન સ્વરૂપે પહોંચે તે રીતે આયોજન કરીને કામગીરી કરવા માટે સૂચના આપીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ની થીમ “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” આધારિત કચ્છ જિલ્લાના તમામ સફાઈ અભિયાનના કાર્યક્રમો થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા.બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નીકુંજ પરીખે જણાવ્યું હતું કે, આ વર્ષે સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરીને સરકારશ્રી દ્વારા કામગીરી કરવામાં આવશે. આ અભિયાનમાં વ્યાપકપણે જનભાગીદારીથી સ્વચ્છતા શપથ, શેરી નાટકો, વોલ પેઈન્ટીંગ, વેસ્ટ ટુ આર્ટ અને સ્વચ્છતાની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ સફાઈ વાહકોની સુરક્ષા માટેની શિબીરો, હેલ્થ ચેકઅપ કેમ્પ અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભ આપવાની બાબતનો પણ આ અભિયાનના સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં ‘સેવાસેતુ’માં જે વિવિધ યોજનાઓના લાભો લોકોને મળવાપાત્ર છે તે અંગે સુચારું આયજન કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત બેઠકમાં ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી મહેશ ચાવડા, સર્વે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો સ્ટાફ જોડાયો હતો તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની અખબારી યાદીમાં જણાવાયું છે.



