અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ અંતર્ગત જીલ્લા કક્ષાની સમિતિઓના આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
1 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૨૪થી ૧૮/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ મા જગદંબાના દર્શનાર્થે પધારનાર છે. માઈભક્તો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવા સંગઠનો દ્વારા માઈભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે.જે અંતર્ગત જીલ્લા કક્ષાની વિવિધ સમિતિઓનું ગઠન કરવામાં આવેલ છે. સમિતિઓ સાથે સંકલન અને જરૂરી આયોજન અંગે આજરોજ અંબાજી મંદિરના મીટીંગ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેયરમેનશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સ્વચ્છતા, સલામતી અને કાયદો, આરોગ્ય, ઈમરજન્સી સારવાર, રસ્તા મરામત,પાણી પુરવઠા, વિધુત્ત પ્રવાહ, પાર્કિંગ , રહેઠાણ, ભોજન, પ્રસાદ, પ્રચાર – પ્રસાર વગેરે સમિતિઓની કામગીરી બાબતે ચર્ચા કરી તેમની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આજની બેઠકમાં જીલ્લા પોલીસ અધીક્ષકશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, વહીવટદારશ્રી અંબાજી મંદિર, જીલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા