GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

KVK નવસારી ખાતે હળદર અને મરી મસાલા પાકો અંગે બે દિવસીય ખેડૂત પરિસંવાદ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત સરકારની મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર યોજના અંતર્ગત નોડલ ઓફિસર(મેગાસીડ) અને યુનિટ હેડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., નવસારીના સંયુક્ત પ્રયાસથી અને નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા કક્ષાનો બે દિવસીય ખેડૂત પરિસંવાદ કેવિકે, નવસારી ખાતે યોજાયો હતો. આ પરિસંવાદના ઉદ્દઘાટન પ્રસંગે મેગાસીડ ઓફિસ, નવસારીના હર્ષલ પટેલે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતં. આ પ્રસંગે નોડલ ઓફિસ (મેગાસીડ) ના વડા ડૉ.ડી.એ.ચૌહાણે હળદર અને અન્ય મરી મસાલા પાકોની જાતો વિકસાવવા માટે ૧૦ થી ૧૨ વર્ષના સમયગાળો લાગે છે તથા અન્ય પાકોની જેમ હળદર અને મરી મસાલા પાકોમાં પણ જાત ખૂબ જ અગત્યતા છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેઓ ખેડૂતોને મેગાસીડ ખાતેથી કઠોળ, ધાન્ય વર્ગ અને અન્ય પાકોની વિવિધ જાતો વિકસાવવામાં પાયારૂપ ભૂમિકા ભજવીને ખેડૂતોને હંમેશ મદદરૂપ થવા માટે યુનિવર્સિટી દ્વારા તત્પરતા દાખવી છે.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી નકૃયુ, નવસારીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ ડૉ. હેમંત શર્માએ ઉપસ્થિત ખેડૂતોને યુનિવર્સિટીની વિવિધ ટેકનોલોજીનો વધુ લાભ લઈને એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવવા અને ઉત્પન્ન થયેલ ખેતપેદાશમાં મૂલ્યવૃધ્ધિ કરી સ્માર્ટ ખેતી તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ પરિસંવાદમાં જનીન વિદ્યાવિભાગના ડૉ. રીતેશ પટેલે ખેડૂતો માટે વહેલી અને ઓછા પાણીએ પાકતી હળદરની નવી જાત ગુજરાત નવસારી હળદુર-૪ તથા અન્ય જાતોની લાક્ષણિકતાઓ વિશે ઉંડાણપૂર્વક સમજણ આપી હતી. ડૉ. પંકજ ભાલેરાવે ઘનિષ્ઠ પાક વાવેતરમાં આંબા, ચીકુ અને નાળિયેરની વાડીમાં હળદરના પાક સફળતાપૂર્વક કેવી રીતે લઈ શકાય તે વિશેની માહિતી પૂરી પાડી હતી.

પ્રગતિશીલ ખેડૂત અને અંબિકા હળદર ફાર્મ, જામલાપાડાના શ્રી કાશીરામ બિરારીએ હળદર અને અન્ય પાકો પ્રાકૃતિક/સજીવ ખેતીથી ઉત્પન્ન કરી જાતે જ મૂલ્યવૃધ્ધિ કરી સીધા ગ્રાહકને વેચવા માટે ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પરિસંવાદમાં હળદર અને અન્ય પાકમાં આવતા રોગ જીવાતને નિયંત્રણ કરવા માટે વૈજ્ઞાનિક ડૉ.એચ.પી.પટેલે ઉંડાણપૂર્વક સમજણ આપી હતી. આ પરિસંવાદમાં નવસારી જીલ્લાના ૮૦ થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી ખેતીમાં મૂંઝવતાં પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું તથા આ પ્રસંગે ખેડૂતોને યુનિવર્સિટીના વિવિધવિભાગો જેવા કે નોવેલ પ્રવાહી ખાતર, એ.આઈ.સી.આર.પી.પાલ્મ, પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગ, કેવિકે ફાર્મની મુલાકાત વગેરે દ્વારા પ્રત્યક્ષ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.

Back to top button
error: Content is protected !!