Rajkot: રાજકોટ જિલ્લામા સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર

તા.૨૬/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
લોધિકા તાલુકાના દેવગામ ગામ નજીકની સરકારી ખરાબાની અંદાજિત રૂ ૩ કરોડની કિંમતની સરકારી જમીન ખાલી કરાવાઈ
Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીશન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે.
જે અન્વયે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામ ગામે રાજકોટ-કાલાવડ મેઈન રોડ ઉપર આવેલ સરકારી ખરાબાની જમીન રેવન્યુ સ.નં.૪૦ અને સ.નં.૮૧ ની જમીન આશરે ૨૫૦૦ ચો.મી. માં જુદી-જુદી કુલ-૪ હોટેલ કરી અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૩ કરોડની કિંમતની ૨૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.
આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અનઅધિકૃત કબ્જો ખાલી કરવા ૭ દિવસથી વધુ સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ધ્યાને ન લેતાં ગેરકાયદે થયેલા આ તમામ બાંધકામોને ખાલી કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ ના થાય તે માટે આ જમીનના ફરતે ફેન્સિંગ કરવામાં આવશે. તેમ લોધિકા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
આ સમયે નાયબ મામલતદારશ્રીઓ, રેવન્યુ વીભાગના કર્મચારીઓ, પોલીસ, ફાયર અને પી.જી.વી.સી.એલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






