spવાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ભેંસકાતરી રેંજ વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક દુઃખદ ઘટના બની છે.વઘઇ-ભેંસકાતરી રોડ પર આવેલ જામનપાડા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક માદા ઝરખનું મોત નીપજ્યુ છે.વન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તા. 08/05/2025નાં રોજ મોજે-જામનપાડાથી ભેંસકાતરી તરફ જતા રોડ પર પ્રોટેક્ટ ફોરેસ્ટ કંપાર્ટમેન્ટ ન.42 પાસે રોડની બાજુમાં એક માદા ઝરખનો મૃતદેહ મળી આવ્યો હતો.
અહી રાત્રિનાં અંધારામાં કોઈ અજાણ્યા વાહને આ વન્યજીવને ટક્કર મારી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.આ ઘટનાની જાણ થતાં જ ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ એન. રબારી અને મદદનીશ વન સંરક્ષક આર.એમ.પટેલની સૂચનાથી ભેંસકાતરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સમીર એસ. કોંકણી અને તેમની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને માદા ઝરખના મૃતદેહનો કબજો લીધો હતો.ભેંસકાતરી વન વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.હાલમાં વનવિભાગની ટીમ દ્વારા મૃત ઝરખના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.આ સાથે જ, અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ વન વિભાગે જણાવ્યું છે.બાદમાં મૃત માદા ઝરખના મૃતદેહનો વન વિભાગની ટીમ દ્વારા નિયમોનુસાર અગ્નિદાહ કરવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે સ્થાનિક પ્રકૃતિપ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી.સાથે રાત્રીનાં સમયે વન્ય જીવો રસ્તો ઓળગંતા હોય છે.જેથી જંગલ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોએ સાવચેતી પૂર્વક વાહનોને ચલાવવા માટે અપીલ કરવામાં આવી છે..