અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ મંત્રી બન્યા બાદ ભરૂચ આવતા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેઓ રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપતિ મંત્રી બન્યા છે ત્યારે આજરોજ તેઓ ગાંધીનગર ખાતેથી ભરૂચ આવી પહોંચતા ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે તેઓનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,
ઝઘડીયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ નગારાના નાદ તેમજ ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળતા આગેવાનોએ ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે પાણી પુરવઠા મંત્રીની જવાબદારી મળ્યા બાદ નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં થતું ધોવાણ અટકાવવા, નર્મદા નદી પર રિવરફ્રન્ટ અને નહેરની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે એમ જણાવ્યું હતું.