
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજની ગાયત્રી સોસાયટીમાં જીવલેણ બેદરકારી : ચાલુ વીજ લાઈનો પર વેલા ચડતા દુર્ઘટનાનો ભય
અરવલ્લી જિલ્લાના મેઘરજ ગામમાં આવેલી ગાયત્રી સોસાયટી વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં કોઈ સામાન્ય સમસ્યા નહીં પરંતુ સીધો જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટી વિસ્તારમાં આવેલી ચાલુ વીજ કરંટની લાઈનો પર મોટા પ્રમાણમાં વેલા અધધ ચડી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ખતરાના છાયા હેઠળ આવી ગયો છે.વેલાઓ વીજ તારને વળી જતા લાઈનો સાથે સીધો સંપર્ક સર્જાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે સ્પાર્કિંગ, શોર્ટ સર્કિટ, આગ લાગવાની ઘટના અથવા કરંટ જમીન સુધી ફેલાવાની ગંભીર શક્યતા ગણી શકાય છે કોઈ દુર્ઘટના સર્જાય તો ખાસ કરીને નજીકથી પસાર થતા લોકો, નાના બાળકો અને પશુઓ માટે આ સ્થળ જીવલેણ સાબિત થઈ શકે છે.સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અહીં લાંબા સમયથી મેન્ટેનન્સના નામે શૂન્ય કામગીરી થઈ રહી છે. નિયમિત ટ્રિમિંગ અને લાઈન ક્લિયરન્સ ન થવાને કારણે હાલની પરિસ્થિતિ સ્પષ્ટ રીતે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે.હવે સવાલ ઊભો થયો છે કે શું તંત્ર કોઈ નિર્દોષનો જીવ જાય પછી જ હરકતમાં આવશે..? આટલો મોટો ખતરો હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી…? આવી બેદરકારી પાછળ જવાબદાર કોણ…? રહેવાસીઓએ તાત્કાલિક અસરથી વેલા દૂર કરી વીજ લાઈનો સુરક્ષિત બનાવવાની તીવ્ર માંગ ઉઠાવી છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો કોઈ મોટી ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વીજ તંત્ર અને જવાબદાર અધિકારીઓની જ ગણાશે જોકે સમગ્ર ઘટના ના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીજ તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે






