
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – પુલ નહીં તો વોટ નહીં : બાદરપુરા ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી..!!!
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે મતદારો પોતાની મૂળભૂત સુવિધાઓ માટે તંત્ર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સાઠંબા તાલુકાના બાદરપુરા ગામના ગ્રામજનોએ વર્ષોથી લંબિત પુલના પ્રશ્ને “પુલ નહીં તો વોટ નહીં”નો નારો લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે
બાદરપુરા અને ગાબટને જોડતા રસ્તા પર આવેલા વાંઘા પર પુલ ન હોવાને કારણે બાદરપુરા સહિત આસપાસના આઠથી દસ ગામોના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના લોકોને શિક્ષણ, આરોગ્ય, ખેતી અને રોજિંદા કામકાજ માટે ગાબટ જવું અનિવાર્ય બનતું હોય છે.ખાસ કરીને ચોમાસા દરમિયાન વાંઘામાં પાણી ભરાઈ જતા માર્ગ બંધ થઈ જાય છે અને દસથી વધુ ગામોના લોકોનો સંપર્ક તૂટી જાય છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ, ખેડૂતોના કામકાજ અને દર્દીઓની સારવારમાં ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ તેઓએ અનેક વખત તંત્ર સમક્ષ પુલ બનાવવાની માંગ સાથે રજૂઆતો કરી છે, છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હાલ ચૂંટણીનો સમય નજીક આવતા ગ્રામજનોએ બાદરપુરા ગામે વાંઘામાં ઊભા રહી સૂત્રોચ્ચાર કરીને પુલની માંગણી કરી હતી. સાથે જ ચેતવણી આપી હતી કે જો તંત્ર દ્વારા પુલ બનાવવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે.ગ્રામજનોની આ ચીમકી બાદ હવે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.





